જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી
નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે
બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)
સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક, સુરત જિલ્લા ખેડૂત આગેવાન
સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.
નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)
જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.
નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક
નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.