ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.





















