લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 29મી એપ્રિલના રોજ છે, જેમાં મુંબઈની છ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકનો સમાવેશ થાય છે. મતદાનના બે દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મિડલ ક્લાસને નમન કરી ખાસ કરીને મુંબઈના સૌથી મોટા મતદાર વર્ગને સંબોધિત કર્યો હતો. મુંબઈના મતદારોમાં સૌથી મોટી સંખ્યા મિડલ ક્લાસની છે ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને રિઝવવાની પૂરી કોશિશ કરી હતી.

મુંબઈગરાઓના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંના લોકો દેશની હવા કઈ તરફ ચાલી રહે છે તે કળી જાય છે અને તેથી તેમણે કોને દેશ સોંપવો તે સારી રીતે ખબર છે. દેશની તમામ આર્થિક યોજનાઓની સફળતા માટે ટેક્સ આપનારા તમામ લોકોનો આભાર માની મોદીએ કરદાતાઓની નોંધ લીધી હતી. પોતાની લાક્ષણિક છટામાં ‘કસ કાય મુંબઈ’ થી શરૂઆત કરી હતી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો વારાણસી આવવા માટે આભાર પણ માન્યો હતો.
સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતાં કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મી શિવરાયાંચા માવળા આહે’. જે ભારત પર આંખ ઉઠાવશે તેને ઘરમાં જઈને મારશું. એક સમયે ચૂંટણી સમયે કૉ્ંરગ્રેસે આઈપીએલ મેચ સુરક્ષાના કારણોસર બંધ કરવા જણાવાયું હતું ત્યારે હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, વિવિધ તહેવારો મનાવાઈ રહ્યા છે અને આઈપીએલની મેચ પણ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જેટલા લોકો વડા પ્રધાનની રેસમાં ઊભા છે, તેમાં આતંકવાદને ખતમ કરવાની હિંમત નથી.
તેમણે મુંબઈમાં ચાલી રહેલી તમામ માળખાની યોજનાઓ વિશે વાત કરી હતી અને મુંબઈના લોકોની સુવિધાઓને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર પ્રાધાન્ય આપી રહી છે. તેમણે માછીમાર, ડબ્બાવાલા, ટેક્સીવાળા, પોલીસકર્મી, સફાઈકર્મી વગેરેનો આભાર માન્યો હતો કે તેમણે આ શહેરને ક્યારેય ધીમું પડવા દીધું નથી. સાધ્વી પ્રજ્ઞાએ નવેમ્બર 2008 હુમલાના શહીદ હેમંત કરકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારે મોદીએ મુંબઈ પોલીસ અને સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જો પોલીસ આટલી સતર્ક ન હોત તો શહેરે આના કરતા પણ વધારે ખુવારી સહન કરવી પડી હોત.
કૉંગ્રેસને આડે હાથ લેતા તેમણે જમાવ્યું હતું કે આતંકવાદી હુમલો થાય ત્યારે માત્ર મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન બદલવાની સંસ્કૃતિ અમે બદલી છે અને ત્રાસવાદનો ખાતમો બોલાવી રહ્યા છીએ.
કૉંગ્રેસને ઝાટકતા તેમણે જણાવ્યું હતું કે 2014માં તેઓ સૌથી ઓછી 44 બેઠક જીત્યા હતા, 2019માં તેઓ સૌથી ઓછી બેઠક પર લડી રહ્યા છે. કૉંગ્રેસ 44માંથી 40 પર પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે ભારત માટે આવનારા પાંચ વર્ષ એક અવસર સમાન છે અને સમગ્ર વિશ્ર્વ ભારત તરફ જોઈ રહ્યું છે ત્યારે દેશને એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે અને તે એનડીએ જ આપી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ર્કૉંગ્રેસ 21મી સદીના મતદાર અને તેની અપેક્ષાને સમજવામાં નિષ્ફળ રહી છે અને માત્ર એક પરિવારની રાજકીય કારકિર્દી સંભાળવામાં આવી રહી છે. 2014માં મોંઘવારી ચૂંટણીનો મુદ્દો હતો, ત્યારે આજે વિપક્ષ પણ મોંઘવારીની વાત કરતો નથી કારણ કે દેશમાં પહેલીવાર મોંઘવારી સૌથી ઓછી છે અને વિકાસદર સૌથી વધારે છે. કૉંગ્રેસના મેનિફેસ્ટોમાં મિડલ ક્લાસ ક્યાંય નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુંબઈમાં મોદી અને ઠાકરે એક સાથે ઘણાં લાંબા સમય બાદ દેખાયા હતા. બીકેસી ખાતેનું મેદાન ખીચોખીચ ભરેલું હતું અને મોદીએ વિગતવાર ભાષણ આપી મુંબઈના યુતિના છ ઉમેદવારોને ચૂંટવાની અપીલ કરી હતી.