કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પક્ષ (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે, પરંતુ હું તેમના પ્રત્યે આવી લાગણી નથી રાખતો. તેમણે જણાવ્યું હતું કે મોદી અવારનવાર મારી, મારા પિતા રાજીવ ગાંધી, દાદી ઇંદિરા ગાંધી અને પરદાદા જવાહરલાલ નહેરુની ટીકા કરે છે, પરંતુ મેં તેમને ઝપ્પી આપી હતી (ગળે મળ્યો હતો).

અગાઉ, મોદીએ જાહેરસભામાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમના ‘ચમચાઓ’ મિસ્ટર ક્લિન ગણાવતા હતા, પરંતુ તેમનું જીવન ‘ભ્રષ્ટાચાર નંબર વન’ તરીકે પૂરું થયું હતું. મોદીએ એવો આક્ષેપ પણ મૂક્યો હતો કે રાજીવ ગાંધી અને તેમના પરિવારે આઇએનએસ વિરાટનો દુરુપયોગ ‘અંગત ટેક્સી’ તરીકે કર્યો હતો અને તેના પર દસ દિવસ રજા માણી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ, આરએસએસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે. મોદીજી મારા પર શાબ્દિકપ્રહારો કરે છે. તેઓ મારા પિતા, મારા દાદી (ઇંદિરા ગાંધી) અને મારા પરદાદા (જવાહરલાલ નહેરુ) અંગે દ્વેષભાવભર્યું વલણ ધરાવે છે. મોદીજી ગુસ્સામાં ગમેતેમ બોલતા હોવા છતાં હું તેમની પાસે જઇને તેમને ઝપ્પી આપું છું.
તેમણે જણાવ્યું હતું કે મોદીજી, તમે વડા પ્રધાન છો. તમારે દ્વેષભાવ ભૂલીને પ્રેમથી કામ કરવું જોઇએ. તેનાથી તમને લાભ થશે. મને મોદી પ્રત્યે દ્વેષભાવ નથી.















