CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 17 of 41 - CIA Live

January 2, 2020
patidar.jpg
2min8070

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

January 2, 2020
lpg_cylinder.jpg
1min2620

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો થવાને પગલે સબ્સિડી વગરના કુકિંગ ગૅસ એલપીજીમાં પ્રતિ સિલિન્ડર ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને વિમાનનું બળતણ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં ૨.૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

એટીએફનો ભાવ પ્રતિ કિલો લિટર ૧૬૩૭.૨૫ રૂપિયા વધારી ૬૪,૩૨૩.૭૬ રૂપિયા થયો છે. આ અગાઉ પહેલી ડિસેમ્બરે તેમાં ૧૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૧૯ પછી એટીએફની આ સૌથી વધુ કિંમત છે. ઍરલાઇન્સ કંપનીઓ જે તીવ્ર સ્પર્ધાના દબાણમાં છે તેમને એટીએફની કિંમત વધવાથી ફટકો પડશે.

જોકે, દિલ્હીમાં એટીએફની પ્રતિ લિટર કિંમત ૬૪.૩૨ રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત ૭૫.૧૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૭.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉ ૬૯૫ રૂપિયા હતી તે વધારીને ૭૧૪ રૂપિયા કરવામાં આવી છે.

સપ્ટેમ્બર, ૨૦૧૯ પછી એલપીજી સિલિન્ડરની કિંમત પાંચ મહિનાથી સતત વધી રહી છે અને કુલ ૧૩૯.૫૦ રૂપિયા વધ્યા છે. સબ્સિડી ધરાવતું સિલિન્ડર ૪૯૫.૮૬ રૂપિયાની કિંમત છે, પણ ૧૨ સિલિન્ડરનો ક્વૉટા પૂરો થયા બાદ સબ્સિડી વગરના સિલિન્ડર લેવા પડે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા વેચવામાં આવતા કેરોસીનની કિંમત મુંબઇમાં ૩૫.૫૮ રૂપિયા છે. દિલ્હીને કેરોસીનમુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં પીડીએસ કેરોસીનનું વેચાણ થતું નથી.

January 1, 2020
arundhati.jpg
1min3660

ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના

ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના

આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે

  • દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
  • લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

January 1, 2020
5g.jpg
1min2990

સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.

દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.

દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.

ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.

અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.

દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.

December 31, 2019
cold.jpg
1min3120

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.

December 29, 2019
ganja.jpg
1min19400

કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.

માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.

મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.

સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.

અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.

પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.

December 27, 2019
mig27.jpg
1min2930

ભારતીય વાયુ દળની શાન ગણાતા મિગ-27 વિમાનો આજરોજ તા.27મી ડિસેમ્બર 2019થી સેવા નિવૃત થઇ રહ્યા છે. મિગ-27 બનાવટના 7 વિમાનો આજે જયપુર ખાતે પોતાની છેલ્લી ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે. સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ 1958નાં રોજ વાયુસેના સ્ટેશન હલવારામાં ઓરાગન વિમાનથી કરવામાં આવી હતી.

પાકિસ્તાન સામેના વર્ષ 1999ના  કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27 આજે છેલ્લી વખત ઉડાન ભરશે.

વર્ષો સુધી સ્કવોડ્રનમાં અનેક વિમાનો ઉમેરાયા જેમાં મિગ 21 ટાઈપ 77, મિગ 21 ટાઈપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડ સામેલ છે.  મિગ 27 ફાઈટર પ્લેનને રિટાયર્ડ કરવા માટે જોધપુર એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરાશે.આ સમારંભની અધ્યક્ષતા દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડનાં એર ઓફીસર કમાન્ડિંગ ઇન  ચીફ એર માર્શલ એસકે ઘોટિયા કરશે. ત્રણ દશકા સુધી દુશ્મનોના દાંત ખાટા કરનાર મિગ 27ની વિદાયને લઈને વાયુસેનાએ એક ટ્વીટ પણ કર્યુ હતું જેમાં તેઓ લખ્યું કે ભારતીય વાયુસેના મિગ 27ને વિદાય આપશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાનોએ શાંતિકાળ અને યુદ્ધ સમયે રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે. 

December 26, 2019
bhu.jpg
1min4120

વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.

‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

આ છે પાઠ્યક્રમ નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

December 23, 2019
christmas.jpg
1min4650

સામાન્યત: ૨૫ ડિસેમ્બરે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને એ જ રૂપમાં ક્રિસમસનું આયોજન થાય છે. પરંતુ વર્ષો પહેલાં આવું ન હતું. એ સમયના ધર્માધિકારીઓ ક્રિસમસના રૂપમાં આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતા. એ વાસ્તવમાં રોમન લોકો માટે તહેવારનો દિવસ હતો જેમાં સૂર્યની ઉપાસના કરવામાં આવતી હતી. ત્યારે એવું માનવામાં આવતું કે આ દિવસે સૂર્યનો જન્મ થયો હતો.

એ દિવસોમાં સૂર્ય-ઉપાસના રોમન સમ્રાટો માટે એક રાજકીય ધર્મ બની ગયેલો. બાદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો કેટલાક લોકો ઇસુને સૂર્યનો અવતાર માનીને આ દિવસે તેમની પણ ઉપાસના કરવા લાગ્યા. જોકે, તેને અધિકૃત માન્યના મળી ન શકી.

ચોથી સદીમાં ઉપાસના પદ્ધતિ પર ચર્ચા શરૂ થઇ અને જૂના સમયમાં લખાયેલ સામગ્રી અનુસાર તે તૈયાર કરવામાં આવી. ઇ.સ. ૩૬૦ની આસપાસ રોમના એક ચર્ચમાં ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ પર પ્રથમ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં તે સમયના પોપે પણ ભાગ લીધો, પરંતુ ત્યાર બાદ પણ સમારંભની તારીખ માટે મતભેદ તો રહ્યા જ હતા.

યદૂદી ધર્મ પર પાળતા ભરવાડોમાં પ્રાચીન કાળથી વસંતોત્સવ મનાવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર બાદ ભરવાડો પોતાના જાનવરોના પહેલા બચ્ચાની બલિ ઇસુના નામ પર ચઢાવવા લાગ્યા અને તેમના નામ પર ભોજન સમારંભ પણ યોજવા લાગ્યા. જોકે, આ સમારંભ ભરવાડો પૂરતો જ મર્યાદિત હતો.

જોેકે એ જ અરસામાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ગંભીરતાથી વિચાર વિમર્શ થવા લાગ્યો. તે સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વસંતઋતુના જ કોઇ દિને આ જન્મદિવસ ઉજવવો.

તે અનુસાર પહેલા ૨૮ માર્ચ અને બાદમાં ૧૯ એપ્રિલ પણ નક્કી કરવામાં આવી હતી. બાદમાં એ પણ બદલીને ૨૦ મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો. કેટલાક પ્રસ્તાવો એવા પણ આવ્યા હતા જેમાં આ દિવસને ૮ કે ૧૮ નવેમ્બરે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

જોકે, લાંબા સમયની ચર્ચા વિચારણા પછી રોમન ચર્ચ અને સરકારે ૨૫ ડિસેમ્બરને જ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ જાહેર કર્યો. તે છતાંય તેનો અમલ કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો.

ભૂતકાળમાં અન્ય જાતિઓ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો પણ આ આ જન્મદિવસ સાથે હળી ભળી ગયા હતા. આ તહેવારો કેટલેક અંશે આજે પણ ક્રિસમસ પર્વ સાથે સ્થાયી રૂપથી જોડાયેલા જોવા મળે છે. ઇસુની જન્મભૂમિ જેરૂસલેમમાં પણ આ તારીખને પાંચમી સદીના મધ્યમાં સ્વીકારી લેવામાં આવી. જોકે, ત્યાર બાદ પણ ક્રિસમસ દિવસની આ યાત્રા સરળ ન રહી. વિરોધ અને અંતર્વિરોધ ચાલતા રહ્યા.

૧૩મી સદીમાં જ્યારે પ્રોટેસ્ટન્ટ આંદોલન શરૂ થયું તો આ પર્વને ફરીથી આલોચનાત્મક દૃષ્ટિથી જોવામાં આવ્યો. આંદોલનકર્તાઓને એવું લાગતું હતું કે આ તહેવાર પર જૂના ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ છે. તે સમયમાં ગવાતા ક્રિસમસ કેરોલ જેવા ભક્તિગીતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ ડિસેમ્બર ૧૬૪૪ના દિવસે તો ઇંગ્લેન્ડમાં એક નવો કાયદો બન્યો જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરને ઉપવાસ દિવસ જાહેર કરવામાં આવ્યો. ક્રિસમસ વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાયું. અમેરિકામાં પણ તેનો પ્રભાવ પડ્યો. બોસ્ટનમાં તો ૧૬૯૦માં ક્રિસમસના તહેવાર પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. છેક ૧૮૬૦માં અમેરિકામાં ક્રિસમસને માન્યતા મળી. તે સમયે ૨૫ ડિસેમ્બરને દિવસે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી. ત્યાર બાદ બીજા ખ્રિસ્તી દેશોમાં પણ આનું અનુકરણ થવા લાગ્યું. આમ ઇસુના જન્મ થયેને ભલે ૨૦૧૯ વર્ષ થયા હોય, પણ તેમના જન્મદિવસને ૨૫ ડિસેમ્બરે ઉજવવાનું અધિકૃત રીતે શરૂ થયું માત્ર દોઢસો વર્ષ પહેલાં.

ક્રિસમસ ટ્રી અને સાંતાકલોઝ

યુરોપના ઘણા ભાગોમાં વિવિધ પ્રસંગે વૃક્ષોની સજાવટ કરવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં ૨૪ ડિસેમ્બરે એક તહેવાર મનાવવામાં આવતો તેમાં એક નાટક પણ ભજવવામાં આવતું જેનું નામ હતું ‘ અદનનું વૃક્ષ’. શક્ય છે આવી પરંપરાઓએ ક્રિસમસ ટ્રીની વિચારધારાને જન્મ આપ્યો હોય. આવી વિચારધારા સાથે બાદમાં અનેક દંતકથાઓ પણ જોડાઇ ગઇ. ૧૮૨૧માં ઇંગ્લેન્ડની મહારાણીએ ક્રિસમસ ટ્રી બનાવડાવીને બાળકો સાથે એક સમારંભ યોજી આનંદોત્સવ મનાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષમાં એક દેવ પ્રતિમા રાખવાની પરંપરાને જન્મ આપ્યો હતો. વધાઇ માટેનું પહેલું ક્રિસમસ કાર્ડ લંડનમાં ૧૮૪૪માં તૈયાર થયું. ત્યાર બાદ ૧૮૭૦ સુધીમાં ક્રિસમસ કાર્ડ આપવાની આ પ્રથા પૂરા વિશ્ર્વમાં ફેલાઇ ગઇ.

સાન્તાક્લોઝની પરંપરા પણ ક્રિસમસ સાથે ઘણા સમય બાદ જોડાઇ. મધ્ય યુગમાં સંત નિકોલસ (જન્મ ઇ.સ. ૩૪૦)નો જન્મદિવસ ૬ ડિસેમ્બરે મનાવવામાં આવતો અને એક માન્યતા હતી કે આ રાત્રિએ સંત નિકોલસ બાળકો માટે જાતજાતના ઉપહાર લઇને આવતા. આ જ સંત અમેરિકી બાળકો માટે ‘ સાંતાક્લોઝ’ બની ગયા અને આ નામ સંપૂર્ણ વિશ્ર્વમાં લોકપ્રિય બની ગયું. આજે વિશ્ર્વમાં ૧૦૦થી અધિક દેશોમાં ક્રિસમસનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે.

December 22, 2019
nrc.jpg
1min8550

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.