છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં રેડીયો પર તેજીના ટકોરા, પબ્લિક પ્લેસીસના હોર્ડિંગ પર તેજીના ટકોરા, અખબારોમાં તેજીના ટકોરાની જાહેરાતો જોવા મળી. બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સનું સંગઠન ક્રેડાઇ, સુરત બ્રાન્ચે તેમના ચોથા સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી ફેસ્ટનું કાબિલેતારીફ પ્રમોશન કર્યું. આજે સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા જોવા મળી રહી છે.
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સિટી પ્રોપર્ટ ફેસ્ટ 2022ના ઉદઘાટન પૂર્વે ક્રેડાઇના ચેરમેન રવજીભાઇ મોણપરા, પ્રમુખ સંજયભાઇ માંગૂકીયા, ઉપપ્રમુખ વિજયભાઇ ધામેલિયા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમર રાવલ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ
ક્રેડાઇ સુરત એ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના 900 જેટલા સક્રિય ઉદ્યોગપતિઓની બનેલી સંસ્થા છે અને સુરત ક્રેડાઇ તેના ચોથા પ્રોપર્ટી ફેસ્ટીવલનું ઉદઘાટન તા.16મી સપ્ટેમ્બર 2022ના રોજ કરી રહી છે. ક્રેડાઇ સુરતનો પ્રોપર્ટી ફેસ્ટીવલ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.16થી 18 ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના દરેક વિસ્તારોના મળીને અંદાજે 200 જેટલા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. રેસિડેન્સીયલ, કમર્શિયલ, ફાર્મ હાઉસ, ઓફિસ બિલ્ડીંગ, રો હાઉસ, બંગલોઝ વગેરે પ્રકારની પ્રોપર્ટી માટે એક જ છતની નીચે તમામ માહિતી મળી રહે તેવું આયોજન ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં કરવામાં આવ્યું છે.
વધુ વિગતો આપતા ક્રેડાઇ સુરતના ચેરમેન રવજીભાઇ મોણપરા, સંજયભાઇ માંગુકીયા, વિજયભાઇ ધામેલિયા, અમરભાઇ રાવલ સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં આવનારા દરેક ગ્રાહકને કંઇકને કંઇક મળે તેવું આયોજન છે. પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિને 31મી ઓક્ટોબર સુધીની વેલિડીટી ધરાવતું રૂ.1લાખની કિંમતનું ગીફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. પ્રોપર્ટી ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારા મુલાકાતીઓ માટે છેલ્લા દિવસે આઇ-ટેન મોટરકારનો ઇનામો ડ્રો પણ રાખવામાં આવ્યો છે.
પ્રોપર્ટી ફેસ્ટમાં દર કલાકે 10 હજાર રૂપિયાનું ગીફ્ટ હેમ્પર
દરરોજ સાંજે 50 હજાર સુધીની ગીફ્ટ
મિલકત ખરીદનારને રૂ.1 લાખની રકમનું ગીફ્ટ વાઉચર
છેલ્લા દિવસે લકી ડ્રોમાં એક મોટરકારનું ઇનામ
ક્રેડાઇ સુરતના પ્રોપર્ટી ફેસ્ટમાં શું શું હશે
સુરતમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં 200થી વધુ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે. પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેશિફિકેશન, પ્રોજેક્ટ લે આઉટ, પ્રોજેક્ટ લોકેશન તમામ માહિતી ઉપલબ્ધ બનશે. અલગ અલગ જગ્યાની વિઝીટ કર્યા વગર જ એક જ સ્થળે, પ્રોપર્ટી ફેસ્ટમાં એક સાથે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટીંગ, ટેક્ષટાઇલ માર્કેટ વગેરેની માહિતી મળી શકશે.
બેંકો તરફથી લોન મળી શકે તે માટે બેંકોના પણ સ્ટોલ્સ
સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને મંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રા શરૂ કરાવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેનમાં સવાર થઇને વિસર્જનમાં ભાગ લીધો
નાનપુરા, અઠવાલાઇન્સના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ પોતાના મહોલ્લામાં જ કર્યું ગણેશજીની મૂર્તિનું વિસર્જન
SGCCI સરસાણા કચેરી ખાતે પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા અને સભ્યોએ ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું
ગણેશ વિસર્જનમાં આ વખતે ડ્રેસ કોડનો જબરદસ્ત ટ્રેન્ડ
સુરતમાં વર્ષો પછી ગણેશ વિસર્જનની અસલ સુરતી સ્ટાઇલ ઉજવણી જોવા મળી રહી છે. ગણપતિ બાપ્પાને વળાવવા માટે સુરતીઓ સપરિવાર વિસર્જન શોભાયાત્રામાં જોડાય રહ્યા છે. સવારે દસ વાગ્યાથી શહેરના દરેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ગણેશજીની નાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. નાની મૂર્તિઓ અને મોટી શોભાયાત્રા શહેરના રાંદેર અડાજણ, અઠવાલાઇન્સ, વેસુ, વોલ્ડ સિટી એરીયા, કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત, સિટીલાઇટ કોઇ વિસ્તાર બાકી નથી કે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે રસ્તા પર જોવા મળ્યા ન હોય. કોરોના પહેલા એકાદ બે વર્ષ એવા હતા કે જ્યારે સુરતમાં નદીમાં વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેના કારણે લોકોએ પોતાના સોસાયટી, કેમ્પસ, સંકુલ, ઘરોમાં જ પાણીની કૂંડીઓમાં નાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ, આજે માહોલ અલગ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પાની પાંચ ફૂટ કરતા નાની મૂર્તિઓ લઇને લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં નીકળેલા જોવા મળે છે.
સુરત શહેરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. પહેલા ત્રણ કલાકમાં સુરત મહાનગરપાલિકા ઉભા કરવામાં આવેલા જુદા જુદા કુત્રિમ તળાવોમાં 475 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગણપતિ બાપ્પાને વળાવતી વખતે આટલું ધ્યાન રાખજો
ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી ૧૦ દિવસ ગણેશ પર્વમાં ભક્તો દ્વારા પોતાની આસ્થા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પુરા ૧૦ દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરાય છે જેમાં આજે આ મહા પર્વ માં ગણેશજી નું વિસર્જન કરી સમાપન કરાય છે જે લોકો પોતાનાં ગોર મહારાજ ને બોલાવી ને વિસર્જન વિધિ કરાવે છે તે તો શ્રેષ્ઠ છે જ પરંતુ જે જાતે વિસર્જન કરવાના હોય તેમને આ વિધી વિધાન મુજબ ગણેશ વિસર્જન કરવું જોઈએ
ગણેશ વિસર્જન વિધિ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્ર અનુસાર ગણેશ વિસર્જન માં ખાસ ધ્યાન તે રાખવાનું છે તે એ છે કે વિસર્જન ના દિવસે પણ નિત્ય જેમ પૂજન અર્ચન કરતા હોઈએ તે મુજબ સંપુર્ણ પુજન અર્ચન પ્રસાદ વગેરે કરી આનંદ પૂર્વક પૂજન કરી શાંત ચિત્તે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરવી કે આ ગણેશ પર્વ દરમિયાન અમે અમારી યથાશક્તિથી જે કંઈ પણ સેવા કરી તે સ્વીકારી કૃપા કરીને આપની કૃપા દ્રષ્ટિ સદા અમારા પરિવાર પર રાખજો
આ મુજબ ક્ષમા પ્રાર્થના કરવી
હે ગણેશજી જો આપની નિત્ય સેવા પૂજામાં જાણે અજાણે કોઈ ભૂલચૂક થઈગઈ હોય કે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમાં કરી કૃપા કરશો અને ફરી આવા શુભ પર્વે આમારે ત્યાં અવશ્ય પધારશો
ગણેશ વિસર્જન વિધિ વિધાન
પ્રાથના કરી શુભ મુહર્ત માં જ ગણપતિ બાપા મોરિયા કે ગણપતિ દાદાની જય કરી ગણેશજી નું સ્થાપન સહેજ આગળની તરફ ખસેડવું આમ કરી ગણેશ સ્થાપન નું વિસર્જન કરવું ત્યારબાદ તેમની મૂર્તિ ઉપર કે પાસે જે કોઈ પણ ચીજ કે શણગાર રિદ્ધિ સિદ્ધિ સોપારી મૂષક સ્થાપનાનું શ્રીફળ હોય જે મૂર્તિ ઉપાડતા પડી જાય તેવું જે કંઇપણ હોય જેમકે ભગવાન ને ચડાવેલ ફૂલ કે માળા કે પ્રસાદ તે પહેલા લઈ લેવો આમાંથી કઈ પણ પડી જાય અને પગમાં આવે તો આપણું સેવા નું પૂણ્ય નષ્ટ થાય
જેથી શાંતિ થી બધું સમજી ચોકસાઈ કરી ગણેશજી ની મૂર્તિ જળ માં વિસર્જન કરવા ઉપાડવી અને જળમાં વિસર્જન કરીએ ત્યાં સુધી સહેજ પણ ખંડિત થાય નહિ તેનું પુરે પૂરું ધ્યાન રાખવું ગણેશ સ્થાપન પાસે રાખવામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોપારી શ્રીફળ પૂજા સામગ્રી ફૂલ હાર કે જે કંઈ પણ સામગ્રી હોય તે પણ સાથે લઈ લેવું જેથી જળમાં ગણેશ વિસર્જન કરીએ ત્યારે આ પણ ત્યાજ પધરાવી દેવું અને ખાસ આ નિમિત્તે યથા શક્તિ દાન પુણ્ય પણ કરવું
આવી રીતે ગણેશ સ્થાપન કરી વિધિ વિધાન થી વિસર્જન કરાય છે ત્યાં સદા ગણેશજીના આશીર્વાદ રહેછે વિઘ્નો હણાઈ જાય છે અને જીવનમાં શુભ અને મંગળ થાય છે
અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટની ડીંડોલી ખાતે 2024માં કાર્યાન્વિત થનારી નવી શાળાના ભવનનું ભૂમિપૂજન તા.3 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાશે.
વર્ષ 2000ની સાલમાં રચાયેલા અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટની દ્વીતિય શાળાના ભવન નિર્માણ હેતુ સુરતના ડીંડોલીના કરાડવા ખાતે ખરીદાયેલી 25 હજાર સ્ક્વેયર યાર્ડ જગ્યામાં બાંધકામ શરૂ કરવામાં આવશે. જૂન 2024ના નવા શૈક્ષણિક વર્ષથી ડીંડોલી ખાતેની શાળાને ધમધમતી કરી દેવામાં આવશે.
ડીંડોલીના કરાડવા ખાતે જેનું ભૂમિપૂજન તા.3 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાનાર છે એ શાળા સેન્ટ્રલ બોર્ડને સંલગ્ન હશે. ત્રણ ફેઝમાં શાળાને ફુલફ્લેજ શરૂ કરવામાં આવશે. પહેલા ફેઝમાં જુનિયર કેજીથી ધો.12 સુધી, દરેક ધોરણમાં 6-6 વર્ગો સાથે શાળા શરૂ કરાશે. ડીંડોલી ખાતેના શાળા સંકુલમાં કુલ 3600 વિદ્યાર્થીઓને સમાવી શકાશે. દ્વિતિય તબક્કામાં ગુજરાત બોર્ડને સંલગ્ન શાળા શરૂ કરાશે અને આ જ કેમ્પસમાં ભવિષ્યમાં કોલેજ પણ શરૂ કરવાનું આયોજન હોવાનું અગ્રવાલ વિદ્યા વિહાર ટ્રસ્ટના મેનેજમેન્ટે સોમવાર, તા.1લી સપ્ટેમ્બર 2022ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
– સુરતના વરાછા વિસ્તારમાં સરદારના નારા સાથે પાસની તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા
– પાસની તિરંગા યાત્રામાં રાજકીય પક્ષના પાટીદારો જોડાયા, આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી
સુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર
પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ પુરા થયા બાદ આજે સુરતમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. પાસ દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિવિધ રાજકીય પક્ષોના પાટીદારો પણ જોડાયા હતા. વરાછાના વિવિધ વિસ્તારમાં શરુ કરવામાં આવેલી યાત્રા સાથે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવા તથા ન્યાય માટેની માગણી કરવામાં આવી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં નીકળેલી તિરંગા યાત્રા ક્રાંતિ ચોકથી માનગઢ ચોક સુધી થઈ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. યાત્રમાં જય સરદારના નારા સાથે વંદે મારતમ અને ઇન્કલાબ ઝીંદાબાદ ઉપરાંત સરદાર લડેથે ગોરો સે હમ લડેંગે ચોરો સે ના નારા લગાવ્યા હતા. હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા જેમાં અનેક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પાટીદારો પણ જોવા મળ્યા હતા.
આ યાત્રા પાસ દ્વારા કાઢવામાં આવી હોય પાસ કન્વીનર સાથે લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો પાછા ખેચવા માટેની માગણી સાથે તે માટે આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ પણ પાસ અગ્રણીએ કહ્યું હતું.
સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડમાં આવેલી ઇગ્નાઇટ એકેડેમીમાં સી.એ. સ્નેહ ભાટીયા પાસેથી કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ લેનારી વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ તા.25મી ઓગસ્ટ 2022ના રોજ જાહેર થયેલા કંપની સેક્રેટરી પરીક્ષા 2022ના પરીણામમાં ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો હતો. આ પ્રસંગે ઇગ્નાઇટ એકેડેમીના હેડ સ્નેહ ભાટીયા તથા એકેડેમીના જ ભૂપેન્દ્ર જૈને નિકીતાને શુભેચ્છાઓ આપી હતી. – CiA Live News Web
ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટે હબ બની ચૂકેલા સુરત શહેરના યુવક યુવતિઓ હવે સી.એ. જેવા જ કંપની સેક્રેટરી (સી.એસ.) અભ્યાસક્રમમાં પણ નેશનલ લેવલે ઝળકી રહ્યા છે.
આજે તા.25મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એસ.ના રાષ્ટ્રવ્યાપી પરીણામોમાં સુરત શહેરની નિકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવતા સમગ્ર દેશમાં ફરીથી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે ચર્ચામાં આવ્યું હતું. કંપની સેક્રેટરી કોર્સની ફાઇનલ્સ પરીક્ષામાં નિકીતા ચંદવાણીએ 900 ગુણની પરીક્ષામાં 676 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં હજારો વિદ્યાર્થીઓમાંથી સર્વપ્રથમ (ઓલ ઇન્ડીયા ફર્સ્ટ) રેન્ક હાંસલ કરતા સમગ્ર દેશમાં આ સમાચાર ભારે વાઇરલ થયા હતા. નિકીતા ચંદવાણીએ રાંદેર રોડની સંસ્કારભારતી વિદ્યાલયમાંથી ધો.12ની પરીક્ષા સામાન્ય પ્રવાહમાંથી પાસ કર્યા બાદ કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ ઘોડદોડ રોડના ઇગ્નાઇટ એકેડેમીમાં શરૂ કર્યું હતું.
આજે પરીણામ જાહેર થયા બાદ મિડીયા ઇન્ટરેકશનમાં નિકીતા ચંદવાણીએ કહ્યું કે આ મુકામ પર પહોંચવા માટે તેણે સ્ટડીને ટોપ પ્રાયોરિટીમાં રાખ્યું હતું.નિકીતા ચંદવાણીને સી.એસ.નું કોચિંગ આપતા સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે ભારતમાં હવે કોર્પોરેટ નેટવર્ક વધી રહ્યું છે, પ્રાઇવેટ લિમીટેડ કંપનીઓ આવી રહી છે, સ્ટોક બજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે, યંગસ્ટર્સમાં હવે આ અભ્યાસક્રમનો ક્રેઝ વધ્યો છે. તેમણે કહ્યું કે આપણી આસપાસ વધતા કોર્પોરેટ કલ્ચરને કારણે વિદ્યાર્થીઓ આ પ્રોફેશન ડિગ્રી પ્રોગ્રામમાં ખૂબ જ રસ દાખવી રહ્યા છે.
કંપની સેક્રેટરીનું ઓવરઓલ પરીણામ ફક્ત 18થી 22 ટકા
એક તરફ આજે સુરતની નિકીતા રમેશભાઇ ચંદવાણી નામની વિદ્યાર્થીની સી.એસ.માં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થઇ છે તો બીજી તરફ કંપની સેક્રેટરી કોર્સનું પરીણામ ફક્ત 18થી 22 ટકા જેટલું નીચું આવ્યું છે. આઇ.સી.એસ.આઇ.સુરત બ્રાન્ચની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ પ્રોફેશનલ પ્રોગ્રામની મોડ્યુલ-1 પરીક્ષાનું પરીણામ 22.07 ટકા, મોડ્યુલ-2નું પરીણામ 18.17 ટકા અને મોડ્યુલ-3નું પરીણામ ફક્ત 18.90 ટકા આવ્યું છે. પ્રમાણમાં કઠિન ગણાતા આ કોર્સ સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોને સારી જગ્યાએ પ્લેશમેન્ટ મળી જ જાય છે.
ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જુદા જુદા ટેસ્ટીંગ થઇ શકે તે માટેની સુરતની દાયકાઓ જૂની સંસ્થા મંત્રા MANTRA (મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન)ની લેબોરેટરીને પીપીઇ કીટ અને માસ્કનું ટેસ્ટીંગ કરીને સર્ટિફાય કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કોરોના કાળથી પ્રચલિત બનેલી પીપીઇ કીટ અને માસ્કની જરૂરીયાત મેડીકલ ફિલ્ડ તેમજ કેટલાક જોખમી ઉદ્યોગોમાં બારેમાસ રહે છે, જેના ઉત્પાદન બાદ તેના સેમ્પલ ટેસ્ટીંગની જરૂરીયાત રહેતી હોય છે. રિંગ રોડ પર આવેલી મંત્રા સંસ્થામાં પીપીઇ કીટ અને માસ્કનું સંપૂર્ણ ટેસ્ટીંગ કરી આપતી લેબોરેટરીનું ઉદઘાટન કરીને આજથી જ ટેસ્ટીંગ ફેસેલિટી સુરત ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ રજનિકાંત બચકાનીવાળા સહિત અન્યોએ જણાવ્યું કે મંત્રા મેનેજમેન્ટએ ત્વરિત નિર્ણય લઇ ફેસ માસ્ક અને પી.પી.ઈ. કીટનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા નક્કી કર્યું હતું. છ મહિનાના ટૂંકા સમયમાં મંત્રાએ ઉપરોક્ત ટેસ્ટિંગ માટે જરૂરી તમામ મશીનરી તેમજ ઇક્વીપમેન્ટ્સ વસાવી લીધા અને લેબને કાર્યાન્વિત પણ કરી દીધી છે. અત્યાર સુધીમાં સુરતમાં અનેક મિલો દ્વારા પીપીઇ કીટ તથા માસ્ક બનાવવામાં આવે છે પરંતુ, તેની ક્વોલિટી યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરીને સર્ટિફિકેશન આપી શકે તેવી એક પણ સંસ્થા સુરતમાં ન હતી. આથી મંત્રાએ હવે સુરતના આંગણે જ આ ફેસેલિટી વિકસાવી દીધી છે.
મંત્રાએ આ પ્રકારની વિકસાવી ટેસ્ટીંગ ફેસેલિટી
સુરતના રિંગ રોડ પર આવેલી મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન (મંત્રા) સંસ્થાએ પીપીઇ કીટ અને માસ્કની ગુણવત્તા ચકાસણી થઇ શકે તે માટે વિકસાવેલી સુવિધામાં અગત્યના ટેસ્ટિંગ જેવા કે બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશન્સી તથા પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સી તેમજ સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન અને ડિફરન્સીયલ પ્રેસર જેવા પેરામીટરનું ટેસ્ટીંગ થઈ શકશે. ટૂંક સમયમાં મંત્રા ઉપરોક્ત પેરામીટરને NABL એકક્રીડેશન કરાવી લેશે. જેથી ટેસ્ટિંગ ભરોસાપાત્ર હશે અને સર્ટિફિકેશનને પાત્ર થશે. મંત્રામાં બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશિયન્સી- આ ટેસ્ટમાં ફેસ માર્ક્સમાંથી બેક્ટેરિયા કેટલા પસાર થાય તે તેની માપણી થાય છે. પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સ- આ સાધનમાં સૂક્ષ્મ કણ કેટલા ફિલ્ટર થાય તેની માપણી થાય છે. કોરોના વાયરસ એ પણ એક સૂક્ષ્મ કણ છે માટે પાર્ટિકલ એફીસીયન્સીથી વાયરસને રોકી શકાશે કે કેમ તે નક્કી કરી શકાશે. સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન ટેસ્ટ- આ ટેસ્ટમાં પીપીઈ કીટ પહેરેલી વ્યક્તિ અથવા ડોક્ટર દર્દીના શરીરમાંથી લોહીનો છંટકાવ થાય તો તેની સામે કેટલું રક્ષણ મળે તે નક્કી કરે છે. ડિફરન્સીયલ પ્રેસર- આ ટેસ્ટમાં ફેસ માસ્કની કમ્ફર્ટ પ્રોપર્ટી નક્કી થાય છે. ડિફરન્સીયલ પ્રેસર જેમ ઓછું તેમ કમ્ફર્ટ પ્રોપર્ટી વધુ સારી ગણાય.
જાણિતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650થી વધુ દર્દીઓને બજારમાં 25થી 35 હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઇ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે. ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણિતા હીરા ઉધોગપતિ, ગ્રીન ડાયમંડ લેબના શ્રી મુકેશભાઇ પટેલ આ સમગ્ર યોજનામાં તન, મન અને ધનથી સહયોગ કરી રહ્યા છે. તેમણે આ ડેન્ટલ ટ્રીટમેન્ટને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય, છેવાડાના લોકોની સુખાકારી માટે સેવાની ધૂણી ધખાવી છે, તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રી (નિશુલ્ક) આપવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલના સી.પી. વાનાણી અને દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે અમને આશા છે કે પ્રતિદિન સરેરાશ 10 દર્દીઓ સુરત ડાયમંડ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા આવશે તો એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને અમે બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી શકીશું. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.
ચેમ્બર દ્વારા ‘યાર્ન એકસ્પો –ર૦રર’નું ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન
ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે, દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરે પ્રદર્શિત થશે, ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રર–ર૩ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એકસ્પો– ર૦રર’ નું આયોજન આગામી તા. ર૦, ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવી રહયું છે. જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.
ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સ વિગેરેમાં આ જરીનો ઉપયોગ થાય છે. યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત થનારા નવા યાર્ન, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને તથા સુરતમાં ડેવલપ થઇ રહેલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવા ફેબ્રિકસ મારફત નવી ઊંચાઇએ લઇ જશે.
વિશ્વના જુદા–જુદા દેશો જેવા કે અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. તદુપરાંત દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે ૮૧ જેટલા શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા પ૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.
શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર દેશના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.), સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ, સિલવાસા, મેરઠ, મુંબઇ, સાલેમ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, હુગલી, હૈદરાબાદ અને સિકંદરાબાદના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેનાર છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન યોજાઇ રહયું છે. પ્રથમ વખત સૌથી વિશાળ એરિયામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એકસ્પોમાં નીચે મુજબના વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત કરવામાં આવશે.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.
બપોરે જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત થઇ અને રાત્રે જાહેરાત પાછી ખેંચી લેવાતા યુનિવર્સિટી આલમમાં તર્કવિતર્ક, ખુદ એબીવીપીના મોટા નેતાઓ અજાણ
એબીવીપીએ ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં જ નાટ્યાત્મક ઘટનાક્રમ
સુરત, તા.25 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટ સભાની આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દિકરા જિજ્ઞેશ પાટીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે દાતાઓની બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત થયાના થોડા જ કલાકોમાં સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પટેલે યુનિવર્સિટી સેનેટ ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દેતા અભાવિપ સમેત ભાજપની નેતાગીરીમાં સન્નાટો મચી ગયો હતો. સેનેટની ચૂંટણી પૂર્વે યુનિવર્સિટી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આજે બપોરે સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓએ જુદા જુદા સંવર્ગની બેઠકો માટે એબીવીપીના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. તેની સાથે જ દાતા મતદાર વિભાગની બે બેઠકો પર પણ એબીવીપીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં એક નામ ડો.કશ્યપસિંહ ખરચીયાનું અને બીજું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલનું હતું. આ જાહેરાતની સાથે જ એબીવીપી અને ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને યુનિવર્સિટીના રાજકીય તખ્તે હલચલ મચી ગઇ હતી. પરંતુ, રાત્રે આઠ વાગ્યે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે એક વિડીયો મેસેજ જારી કરીને એવો સંદેશો આપ્યો કે જિજ્ઞેશ પાટીલ યુથ ફોર ગુજરાત તેમજ અન્ય પ્રવૃતિઓને આગળ ધપાવવા માગે છે આથી તેઓ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા નથી. ડો. મહેન્દ્રસિંહ ચૌહાણના આ વિડીયો મેસેજને પગલે સમગ્ર યુનિવર્સિટી આલમમાં સન્નાટો મચી ગયો હતો. એબીવીપી અને ભાજપના નેતાઓ કંઇ સમજે એ પહેલા જ જિજ્ઞેશ પાટીલની ઉમેદવારી બાબતે પૂર્ણ વિરામ મૂકાય જતા અનેક તર્ક વિતર્ક પણ સેવાય રહ્યા છે.
આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાતાઓના મતવિભાગના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા છે. દાતા વર્ગની બે સીટ માટે જિજ્ઞેશ પાટીલ ઉપરાંત વર્તમાન સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપસિંહ ખરચીયા એબીવીપીના દ્વિતિય સત્તાવાર ઉમેદવાર છે.
ગુજરાત ભાજપના પ્રમુખ અને સુરતના કદાવર રાજકીય નેતા સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલે વિદ્યાર્થી સંગઠન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડોનરની સીટ પરથી સેનેટ ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન તો આપ્યું જ છે સાથોસાથ એ સ્પોર્ટસ ક્ષેત્રમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ જેવી જુદી જુદી રમતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
વિદ્યાર્થી સંગઠનની પ્રત્યક્ષ ચૂંટણીમાં પહેલીવાર જ જિજ્ઞેશ પાટીલે ઝુકાવ્યું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતી દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભાની ચૂંટણી તા.14મી ઓગસ્ટ 2022ના રોજ યોજાઇ રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી હતી. જેમાં દાતા વર્ગની સીટ પરથી જિજ્ઞેશ સી.આર. પાટીલનું નામ ઘોષિત કરીને યુનિવર્સિટી સ્તરના પોલિટીક્સમાં વમળો સર્જી દીધા છે.
જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે અભાવિપના અન્ય ઉમેદવાર તરીકે ડો.કશ્યપસિંહ ખરચીયાની પેનલ બનાવવામાં આવી છે.
સુરતના સર્કિટ હાઉસ ખાતે તા.25મી જુલાઇએ પત્રકાર પરિષદ યોજીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના સત્તાવાર ઉમેદવારો ઘોષિત કર્યા હતા
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.