મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.
ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.
સુરત સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત હીરા કંપની, SRK એક્ષ્પોર્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ કાળમાં આપેલું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગઇ તા.20મી ઓક્ટોબર 2022ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસ.આર.કે. સ્પોર્ટસ પાર્કમાં SRK એક્ષ્પોર્ટના કર્મચારીઓ સાથે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં SRK એક્ષ્પોર્ટ તરફથી તેમના 1000 કર્મચારીઓને રૂફટોપ સોલાર સિસ્ટમ દિવાળી બોનસ તરીકે ભેંટ આપવામાં આવી હતી. SRK એક્ષ્પોર્ટમાં કુલ 6000 કર્મચારીઓ કાર્યરત છે, તેમને તબક્કાવાર સોલાર રૂફટોપની વહેંચણી કરવામાં આવશે.
SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “શ્રી ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”
SRK એક્સપોર્ટ્સના પાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.
શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે: “શ્રી ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં પગલાં લેવા જોઇએ તેની માહિતી અને સમજ પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ થાય એ એમની કાયમી ચિંતા હોય છે.
સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં જાણિતું નામ એટલે લક્ષ્મી ડાયમંડ. ૧૯૭૨માં સ્થપાયેલ લક્ષ્મી ડાયમંડ કંપનીને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભવ્ય સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ ગઇ તા.૧૨થી ૧૬ ઓક્ટોબર દરમિયાન મોટા વરાછા ખાતે આવેલી કેપિટલ લોન્સ ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
સ્વર્ણિમ મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સમેત કર્મચારીઓનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાચ દિવસીય સમાંરભમાં દરમ્યાન લક્ષ્મી ડાયમંડ પરિવારના અદાજીત ૨૫૦૦૦ વ્યકિતનો ભોજન સમાંરભ તેમજ કંપનીમાં ૧૦ વર્ષથી લઈ ૩૦ વર્ષ અને તેના કરતા વધારે સમયથી કંપનીમાં ફરજ બજાવતા ૧૦૧૧ કર્મનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાંચેય દિવસના સમાંરભમાં દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકર દ્વારા જીવન લક્ષીય અને પરિવાર ભાવના જળવાય તેવી જીવન ઉપયોગી માહિતી આપી હતી. જેમાં પ્રથમ દિવસે શૈલેશભાઈ સગપરીયા, બીજા દિવસે ધર્મબંધુજી અને જય વસાવડા, ત્રીજા દિવસે કાજલ ઓઝા વૈદ, ચોથા દિવસે સંજય રાવલ અને પાંચમાં દિવસે નેહલબેન ગઢવી ઉપસ્થિત રહી પરિવારના શું સભ્યોને આંધ્રય જીવન જીવવા માટે ખુબ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાયક્રમ માં અન્ય આમત્રિત મહેમાનો જેવ કે શ્રીમતી દર્શનાબેન ઝરદોષ (રેલ્વે રાજ્ય મંત્રી,ભારત સરકાર), પુર્ણેશ મોદી (પ્રવાસન મંત્રી, ગુજરાત રાજ્ય), તેમજ રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ ઉધોગ અને કાપડ ઉદ્યોગના નામાંકિત મહાનુભાવો દ્વારા લક્ષ્મી ડાયમંડ આ પારિવારિક ભાવને બિરદાવવામાં આવ્યો હતો. સાથે સાથે કંપનીના સ્થાપક વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાએ પણ જીવન ઉપયોગી વાતો કરી પરિવારજનોને કુરીવાજો અને અંધશ્રદ્ધા વિષે સમજ આપી હતી તથા પારિવારિક ભાવનાની જીવન ઉપયોગીતા વિષેની સમજ આપી હતી.
સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.
દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.
દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે.
આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી.
તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.
શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.
મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.
ગુજરાત સરકારે 16/9/22, શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે 17/9/22 શનિવારે સવારે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે.
– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે.
વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે.
વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.
320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત
જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.
દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.
ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
રાજ્યના ગૃહ વિભાગે પોલીસ પે ગ્રેડ માટે જાહેર કરેલ એલાઉન્સના નિયમોમાં અંતે ફેરબદલ કરવાની ફરજ પડી છે. એલાઉન્સ મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓ નારાજ હતા અને સરકાર એક યુદ્ધ છેડ્યું હતુ જેમાં અંતે આજે સરકાર ઝુકવું પડ્યું છે.
તા. ૨૯-8-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો. અંતે આજે ગૃહવિભાગે નવો પરિપત્ર બહાર પાડીને આ એફિડેવિટના પ્રસ્તાવને રદ્દ કર્યો છે.
પોલીસના સોશિયલ મીડિયામાં ચાલતા આંદોલનને ડામવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓના ધમપછાડા છતાં પોલીસ કર્મચારીઓએ ટસના મસ ના થઈ એફિડેવિટ આપવાનો ઈન્કાર કરતાં આખરે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. હવે પોલીસ કર્મચારીઓએ પગાર વધારા પેટે એફિડેવિટ આપવાની જરૂર નથી.
કેજરીવાલના નિવેદન બાદ સલવાયેલી સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી પણ નિયમોને આધિન પગાર વધારો કરવો હતો, જે પોલીસ કર્મચારીઓને સ્વીકાર ન હતો. આખરે ઘીના ઠામમાં ઘી ઢળે એમ સરકારે એફિડેવિટનો નિર્ણય પડતો મૂક્યો છે.
સરકારના એફિડેવિટના નિર્ણય વિરૂદ્ધ પોલીસ કર્મચારીઓ ફરી એક વખત સોશિયલ મીડિયાનો સહારો લઈને પર પે ગ્રેડનું આંદોલન ચલાવ્યું હતું. પરિપત્રમાં તમામ પોલીસ કર્મચારીઓ સમહતિ પત્ર આપવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.