દેશમા CAA લાગૂ કરવાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોના પુરો થતાની સાથે જ CAA કાનૂન લાગૂ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દાને લઇને પોતાની દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.
નીતિશ કુમારે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે,” દેશમાં તો કોરોના ફેલાઇ રહ્યો છે, જે પણ કેન્દ્રનો નિર્ણય હશે, હવે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે, મારી ચિંતા લોકોની રક્ષા કરવામાં છે. કોઇ પૉલિસીની વાત હશે તો, અમે તેને અલગથી જોઇશુ.”
મહત્વનું છે કે, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ શરુઆતથી જ CAA લાગૂ કરવાના વિરોધમાં જ રહ્યાં છે, પરંતૂ અમિત શાહના કહ્યાં બાદ બિહારના ઘણા મંત્રીઓ અને નેતાઓ બિહારમાં CAA લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે.
બીજેપી મંત્રી જનક રામે શુક્રવારે CAA ના નિર્ણયને લઇને કહ્યું કે, CAA BJP નો એજન્ડા છે, જેથી તેને બિહારમાં પણ લાગૂ કરવામાં આવશે. તો બીજી તરફ બિહારના બીજા એક નેતા પ્રમોદ કુમારે પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને કહ્યું કે, જો બંગાળમાં નાગરિકતા કાનૂન લાગૂ પડશે તો એવુ નથી કે, બિહારમાં લાગૂ નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે આ કાનૂન બિહારમાં પણ લાગૂ થાય.
સ્કુલે જતી છાત્રાઓની સાથે કનડગતથી લઇને દુષ્કર્મ સુધીના બની રહેલા ગંભીર કેસોને નાથવાના પ્રયાસ રૂપે સુરતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા ઉધના, પાંડેસરા, સચિન, ડીંડોલી વગેરે વિસ્તારની સ્કુલે જતી છાત્રાઓને ઉનાળા વેકેશન દરમિયાન સેલ્ફ ડિફેન્સની 6 દિવસની ટ્રેનિંગ બિલકુલ નિશુલ્ક મળી રહે તે પ્રકારનું આયોજન સુરત શહેર પોલીસ તેમજ ઉધનામાં કાર્યરત લિઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.
સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો
કન્યાઓ માટેની આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં વહેલા તે પહેલાના ધોરણે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે અને સેંકડો વિદ્યાર્થિનીઓએ આમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. વધુ વિગતો આપતા લિયો ગ્રુપના ચેરમેન જયસુખ કથિરીયાએ જણાવ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની આ ટ્રેનિંગ ઉનાળા વેકેશન દરમિયાન જ સ્કુલમાં જ આપવામાં આવશે. આ ટ્રેનિંગનું આયોજન સુરત શહેર પોલીસ કમિશનર અને જે તે વિષય નિષ્ણાંત લોકો દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. સનગ્રેસ સ્કુલ ઉધના, સનરેઝ સ્કુલ, સનલાઇટ સ્કુલ, લિયો ગ્રુપમાં હાથ ધરવામાં આવશે. સ્કુલે જતી કન્યાઓ માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે.
શ્રેય અને સુરતીઓ વચ્ચે ગજબનું બોન્ડીંગ છે. પદ્મશ્રી જેવો ખિતાબ પામવાનું શ્રેય હોય કે પછી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોય, સુરતીઓની પ્રકૃતિમાં શ્રેય પામવાની બાબત સાહજિક છે. અહીં એવા સુરતી ટાબરીયા રેયાન્સ મિતુલ સુરાણીની વાત કરી રહ્યો છું જેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં સૌથી નાની ઉંમરે પ્રોફેશનલ યોગ ગુરુ બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. હાલમાં મિતુલ સુરાણી પરિવાર સાથે દુબઇ સેટલ થયા છે અને દુબઇમાં રેયાન્સ 50 લોકોને હાલમાં યોગાની પ્રોફેશનલ ટ્રેનિંગ આપી રહ્યો છે.
વિશ્વમાં સૌથી નાની વયે યુગ ગુરુ બનવાનો વિશ્વ વિક્રમ
સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયામાં હાલ આ સમાચાર વાઇરલ થઇ રહ્યા છે કે જેમાં મૂળ સુરતના સૂરાણી પરિવારનો 10 વર્ષનો રેયાંશ સુરાણી સત્તાવાર રીતે દુનિયાનો સૌથી નાની ઉંમરનો યોગ ઈન્સ્ટ્રક્ટર બન્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝે તેના આ વિક્રમને સર્ટિફાઇડ કરીને તેને બહુમાન આપ્યું છે. મિતુલ સુરાણીના પારિવારીક મિત્ર સુરતના જગદીશ ઇટાલિયાએ આપેલી માહિતી મુજબ રેયાન્સને પરિવારમાંથી જ યોગ પ્રત્યેની રૂચી વધી હતી અને માત્ર એક વર્ષની નાની ઉંમરે જ એ યોગાસન કરતો થઇ ગયો તો.
રેયાન્સને યોગમાં એટલી લગન લાગી ગઇ હતી કે વ્યાવસાયિક યોગ ગુરુઓ જે પ્રકારની ટ્રેનિંગ લેતા હોય છે એવા યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ માટે રેયાંશ એક મહિનો ઋષિકેશ રહ્યો હતો અને કઠિન ગણાતી ટ્રેનિંગ સફળતાપૂર્વક પાર કરી હતી. આજે માત્ર દસ વર્ષની ઉંમરે રેયાન્સ જે પ્રકારના યોગાસન કરી રહ્યો છે એ ભલભલા એક્સપર્ટસને પણ છક્કડ ખવડાવી દે તેવા હોય છે. યોગની અલ્ટીમેટ સિદ્ધિ હાંસલ કરતા રેયાંશ સુરાણીએ (ઉંમર 10) 27 જુલાઈ 2021ના રોજ નવ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી નાની ઉંમરના સર્ટિફાઈડ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ગિનિસ રેકોર્ડમાં નામ નોંધાવી અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે.
સૌથી નાની વયના યોગ ગુરુ હવે મેટાવર્સને યોગ શીખવવા માગે છે
ગિનિસ બૂક ઓફ રેકોર્ડના પ્રેસ રિલીઝમાં રેયાંશે કહ્યું હતું કે, જ્યારે મને પહેલીવાર ખબર પડી કે અમે ભારતમાં ઋષિકેશ જઈ રહ્યા છીએ, ત્યારે હું ગ્રામીણ જીવન જીવવા માટે ઉત્સુક હતો. દુનિયાની તે બાજુમાં મેં પહેલીવાર જોઈ, જ્યાં આધ્યાત્મિકતા વધારે છે’. રેયાંશ પાસે ઈન્ટરનેટ કે એસીની સુવિધા પણ નહોતી. તે જલ્દીથી નવા વાતાવરણ સાથે અનુકૂળ થઈ ગયો હતો. ‘હું અલાઈનમેન્ટ, એનાટોમિક ફિલૉસોફી અને આયુર્વેદના પોષક તથ્યો વિશે શીખ્યો. તે એક તીવ્ર અભ્યાસક્રમ છે’, તેમ રેયાંશે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. હવે તેનું ડ્રીમ છે કે એ મેટાવર્સમાં જઇને યોગની ટ્રેનિંગ આપે.
વિતેલા સપ્તાહે સુરતીઓની નમકીનની ફેવરીટ બ્રાન્ડ યુરો ફૂડ્સના મનહરભાઇ, દિનેશભાઇને મળવાનું થયું. એજન્ડા કંઇ ન હતો. બસ યુરો ફૂડ્સની મજલ વિશે જાણવું હતું. વ્યવસાયે પત્રકારત્વ રગેરગમાં વહેતું હોય, કંઇક નવું જાણવાની હંમેશા ઇંતેજારી રહેતી હોય છે. સુરતમાં અનેક સ્થળોએ મળવા જવાનું થાય ત્યારે યુરોની પાણીની બોટલ હાથમાં આવે, ક્યાં તો યુરોના જ્યુસની બોટલ આવી જાય અગર તો પછી નાસ્તામાં યુરોના નમકીન પીરસાય, સવારે ચા નાસ્તામાં યુરોના ખાખરા કે ભાખરવડી હોય, રાત્રે જમ્યા પછી યુરોની ડ્રાયફ્રૂટ ચીકી હોય આમ સ્વાદ અને પેટની ભૂખ સંતોષવા માટે અવારનવાર યુરો બ્રાન્ડની જુદી જુદી બનાવટો માધ્યમ બનતી હોઇ, એવી ઇંતેજારી હતી કે યુરો બ્રાન્ડ વિશે મનહરભાઇને મળીને તેના વિશે ચોક્કસ માહિતી જાણું.
અને એ ઇંતેજારી પૂરી થઇ 16 ફેબ્રુઆરી 2022ના રોજ. જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઇ નાવડીયા સાથે યુરોની ફેક્ટરીની વિઝીટ પર જવાનું થયું અને એવી અનેક બાબતો જાણવા મળી કે જે ભવિષ્યમાં રેફરન્સ બની રહેશે.
2008માં યુરો બ્રાન્ડના વૈચારીક બીજ નંખાયા હતા
સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સાંસપરા બંધુઓ ડાબેથી જયંતિભાઇ, મધ્યમાં મનહરભાઇ અને જમણે દિનેશભાઇ. ત્રણેય ભાઇઓએ આજે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની જ નહીં પણ ભારતીય બ્રાન્ડની ઓળખ ઉભી કરી દીધી છે. યુરો બ્રાન્ડ આજે ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના 14 દેશોમાં ઉપલબ્ધ છે.
મનહરભાઇ સાંસપરા અને દિનેશભાઇ સાંસપરા બન્ને ભાઇઓ અને ત્રીજા ભાઇ જયંતિભાઇ વિદેશમાં ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. આ ત્રણેય ભાઇઓ 2008ની વૈશ્વિક મંદીના સમયે પરીવાર સાથે મહારાષ્ટ્રના એક હિલ સ્ટેશન હરવા ફરવા માટે ગયા હતા. એ સમયે સાંસપરા ફેમિલીના મુખ્ય બિઝનેસ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ અને ત્રણેય ભાઇઓએ પરિવાર સાથે હીલ સ્ટેશન પર જ વિચાર વલોણું કર્યું કે હીરાની સાથે કોઇક અન્ય બિઝનેસ તરફ જવું જોઇએ. સુરતમાં હીરા, ટેક્ષટાઇલ, રિયલ એસ્ટેટના પ્રમોટર્સ એક મેક સાથે સંકળાયેલા હોય એટલે એકમાં મંદી આવે એટલે સાઇકલ ત્રણેયમાં ફરી વળે. ત્રણેય ભાઇઓએ વિચાર્યું અને એ પછી શરૂ થઇ સર્ચિંગની સફર.
શું કરવું જોઇએ શું ન કરવું જોઇએ એ અંગે ખાંખાખોળા કર્યા અને એક કોમન બિઝનેસ મળ્યો ફૂડ સેક્ટરનો. મનહરભાઇએ કહ્યું કે અમારા પરિવારમાં ક્યારેય કોઇ નિર્ણય કોઇ એક વ્યક્તિનો ન હોય, તમામ સાથે મળીને સર્વસંમત થાય એ જ કામ કરવાનું થાય. ત્રણેય સાંસપરા બંધુઓએ નક્કી કર્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઝૂકાવીએ. ત્રણેય ભાઇઓએ નક્કી કર્યું કે સુરતમાં આ બિઝનેસ વિકસાવવો અને તેની સીધી દેખરેખ મનહરભાઇ રાખશે. કેમકે દિનેશભાઇ મુંબઇનો બિઝનેસ સંભાળે અને ત્રીજા ભાઇ, જયંતિભાઇ વિદેશમાં બિઝનેસ સંભાળે છે એટલે સુરતમાં ફૂડ બિઝનેસ મનહરભાઇની દેખરેખમાં આગળ વધે.
માંગરોળ પાસે જમીન પણ મળી. પરંતુ, રોજ હાઇવે પર જવાનું હોઇ, બે ભાઇઓએ સ્પષ્ટ ના પાડી, મનહરભાઇ માટે રોજ હાઇવે ક્રોસ કરવાનું જોખમ ના ઉભું કરી શકાય. છેવટે ઇચ્છાપોર ખાતે પ્લાન્ટ નાંખવાનું નક્કી થયું.
યુરો નામ કેવી રીતે પડ્યું
યુરો નામ પાછળ કોઇ મોટી કહાણી ન હોવાનું જણાવતા મનહરભાઇ કહ્યું કે વાત વાતમાં નામ રાખી દીધું યુરો. તેમણે કહ્યું કે અમારા ભાઇ જે વિદેશમાં છે એ મોટા ભાગે શબ્દ પ્રયોગ કરે, યુરો મોકલી આપું..યુરો એટલે યુરોપનું ચલણી નાણું. બસ નામ પણ મોઢે ચઢી જાય તેવું લાગ્યું અને ત્રણેય ભાઇઓએ નક્કી કરી નાંખ્યું કે આપણી ફૂડ કંપનીનું નામ યુરો રહેશે. આટલી સાહજિકતાથી નામ પડ્યું અને એટલી સાહજિકતાથી જ યુરો ફૂડ કંપનીનું નમકીન કે અન્ય ખાદ્ય બનાવટો ભારતમાં જ નહીં પણ આજે વિશ્વના 14 દેશોના લોકોની માનીતી બ્રાન્ડ બની છે.
કમિટમેન્ટ (નિષ્ઠા) સાથે બાંધછોડ નહીં ને ત્રણ બાબતો સાથે સમાધાન નહીં
સાંસપરા બંધુઓના નવા ઔદ્યોગિક સોપાન, 2014માં જ્યારે યુરો ફૂડ્સ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું તેની પશ્ચાદ ભૂમિકામાં ત્રણેય ભાઇઓના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગનો પાયો હતો કે કમિટમેન્ટ સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ નહીં કરવું, નિષ્ઠા સાથે ક્યારેય બાંધછોડ નહીં. સારું અને કવોલિટી ફૂડ આપવું એટલે આપવું પછી તેમાં લેશમાત્ર સમાધાન નહીં. આ કમિટમેન્ટ જ આજે યુરો ફૂડ્સને વૈશ્વિક બ્રાન્ડ બનાવી રહ્યું છે. મનહરભાઇ અને દિનેશભાઇએ કહ્યું કે (1) પેકેજિંગ ડિઝાઇનિંગ (2) ક્વોલિટી ગુણવત્તા અને (3) ટેસ્ટ સ્વાદ, આ ત્રણેય વસ્તુઓ સાથે ક્યારેય સમાધાન નહીં કરવું એવું મનમાં ઠાની લઇને યુરો ફૂડ્સ કંપનીએ સૌથી પહેલા પોટેટો ચીપ્સ (બટાકાની વેફર) બનાવવાનું શરૂ કર્યું.
સાંસપરા બંધુઓના સૈદ્ધાંતિક બંધનોએ એવી ક્રાંતિ આણી કે જોત જોતામાં યુરો વેફર્સની માર્કેટમાં ડિમાન્ડ નીકળી. સપ્લાય ચેઇન દિનેશભાઇ અને તેમના પરિવારે સંભાળી, પ્રોડકશન મનહરભાઇએ સંભાળ્યું અને વેફરથી શરૂ થયેલી યુરો ફૂડ્સના ઉત્પાદનોની શ્રેણી આજે યુરો ફૂડસની કુલ 146 પ્રકારની અલગ અલગ વેરાઇટી સુધી પહોંચી ચૂકી છે.
કોરોનામાં યુરો ફૂડ્સે જે કર્યું એ ગુપ્તતાથી કર્યું, ક્યારેય માઇલેજ લેવાનો નાનો સરખો પ્રયાસ પણ ના કર્યો
કોરોના કાળમાં સાંસપરા બંધુઓની યુરો ફૂડ્સ કંપનીએ સામાન્ય લોકો માટે જે કર્યું એ જાણીને એમ થયું કે કદાચ બીજા કોઇ પ્રમોટર હોત તો સાંસપરા બંધુઓએ ગુપ્તતા કેળવીને કરેલા માનવીય કાર્યનું મિડીયા માઇલેજ લઇને યુરો ફૂડ્સને કાગનો વાગ બનાવી દીધો હોત. અમે પણ અહીં તેમના ગુપ્ત માનવીય કાર્યોનો ઉલ્લેખ કરવા માગતા નથી કેમકે એ મુઠ્ઠી ઉંચેરા લોકો જ કરી શકે.
કોરોના કાળમાં નાજૂક સ્થિતિ વચ્ચે કુનેહથી કંપની સંભાળી
વાત વાતમાં મનહરભાઇએ કહ્યું કે માર્ચ 2020માં કોરોના કાળ આવ્યો ત્યારે મુસિબતોનો પહાડ તૂટી પડ્યો એવું લાગ્યું. પણ અમે ડર્યા વગર આગળ વધ્યા. કર્મચારીઓને પૂરો પગાર, તારીખ પહેલા કર્યો. મનહરભાઇએ ત્યારે કર્મચારીઓને કહ્યું કે આ પગારનો એક એક રૂપિયો કાળજીથી વાપરજો. આખા દેશ નહીં વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ છે, હવે પગાર થશે કે નહીં તેની મને ખબર નથી પણ હવે પછી તમારે તમારી મહેનતના પૈસાને બચાવી રાખવાના છે, જરૂર પડે તેમાં જ ખર્ચજો.
રો મટિરિયલ એવું જ ખરીદવાનું જે પરિવાર માટે ખરીદતા હોય
મનહરભાઇ અને દિનેશભાઇ સાંસપરાએ જણાવ્યું કે યુરો ફૂડ્સ એટલે ખાદ્ય પદાર્થોની શ્રેણી. એમાં અમારે જાતજાતના રો મટિરિયલની જરૂર પડે. ક્યારેય તેની ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવાની. જે વસ્તુ અમે અમારા ઘર માટે ખરીદીએ એ જ વસ્તુઓમાંથી યુરોની પ્રોડેક્ટ પણ બનાવવી. ચણાના લોટથી લઇને બટાકા સુધી હજારો રો મટિરિટલ આઇટમ્સની ખરીદી કરવી પડે પણ ઉતરતી કક્ષાનું જણાય એટલે એને રિજેક્ટ જ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે યુરો ફૂડના જ્યુસ અને પીણાઓમાં ક્યારેય સેકરીનનો ઉપયોગ નહીં. ખાંડથી બનાવટ મોંઘી પડે સ્વાભાવિક છે પણ લોકોને અમે ક્યારેય સસ્તું આપવાના નામે સ્વાસ્થ્યને નુકસાન કારક વસ્તુ ના આપી શકીએ. જ્યાં સુધી યુરો ફૂડ માર્કેટમાં રહેશે ત્યાં સુધી આ પોલીસી પકડી રાખીશુ અમે.
મિડીયાના કેટલાક મિત્રો સાથે આજે પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાને મળવાનું થયું. ખુલ્લી કિતાબ જેવું જીવન અને જેવા છીએ તેવા વર્તાઇએને જીવન મંત્ર બનાવનાર ઉદ્યોગપતિ કહો, સમાજ સેવક કહો, મેન્ટર કહો કે પછી સવજી કાકા, તમામ પાત્રોમાં પોતાને જીંદાદિલીથી ઢાળી દેનારા સવજીભાઇ ધોળકીયાએ આજે કેટલીક અંતરંગ વાતો અમારી સાથે શેર કરી હતી.
અનેક પ્રવૃતિમાં તમારા હ્રદયની નજીક હોય તેવી પ્રવૃતિ કઇ
સવજીભાઈ ધોળકીયાએ કહ્યું કે ફૂલ છોડ અને વૃક્ષ મળે એટલે મારે મન ભગવાન મળ્યા. હું એકલો હોઉ, સમય મળે એટલે હું છોડવાઓના જતનમાં લાગી જાઉ, ગામડે હોઉ કે સુરતમાં હોઉ બસ મને આ પ્રવૃતિ બહું જ ગમે. સવજીભાઇએ તો ત્યાં સુધી કહ્યું કે ક્યારેક તો એવું લાગે કે વૃક્ષો સાથે મારે જન્મોજનમનો નાતો હશે.
સવજીભાઇએ તરત જ કહ્યું, મારું દુધાળા તળાવ તૂટ્યું ત્યારે તળાવ નહીં હું તૂટી ગયો હતો. 2021ના ચોમાસા દરમિયાન સવજીભાઇના ગામ દૂધાળા ખાતે તેમણે બનાવેલું મુખ્ય તળાવ છલોછલ હતુ અને તેમાં સંજોગોવસાત્ ભંગાણ પડ્યું હતું અને પાણીનો ધોધ એટલો વહી રહ્યો હતો કે જો એના ગણતરીના સમયમાં રિપેર ન કરાયું હોત તો કદાચ સમગ્ર પંથકના ખેતરોમાં વિનાશ વેરાય ગયો હોત. સવજીભાઇએ કહ્યું કે એ દિવસે ના તો દિવસે ચેન પડ્યું ન તો રાત્રે ચેન પડ્યું. મેં મને પહેલીવાર જોયો ધ્રુસ્કે ધુસ્કે રડતા. તેમણે કહ્યું કે એ સમયે નકારાત્મક વિચારોનો જાણે હુમલો થયો હોય, એવી સ્થિતિમાં નકારાત્મકતા ખંખેરીને તૂટેલા તળાવના રિપેરિંગ અંગે જાતે જ વિચાર્યું. પત્થરોની જરૂરીયાત હતી. વહીવટીતંત્રનો એપ્રોચ કર્યો જેટલા ઓછા સમયમાં પત્થરો જોઇતા હતા તે તંત્ર ઉપલબ્ધ કરાવી શકે તેમ ન હતું. બસ પછી સ્વયંના જોરે પ્રયાસો કર્યા 18થી 20 ટ્રકો ભરીને મોટા મોટા પત્થરોની વ્યવસ્થા કરી. તળાવના ભંગાણમાં સામા પ્રવાહે વહેતા પાણીમાં પત્થરો મૂકીને ભંગાણ પૂર્યું અને તળાવને બચાવ્યું.
કઇ રમત ગમે છે અને તમે રમ્યા છો
સવજીભાઇએ કહ્યું કે હું આજે પણ વોલીબોલમાં સેન્ટર પોઝીશનથી રમું છું અને આ ઉંમરે પણ ભલભલા યંગસ્ટર્સની ટીમને ચેલેન્જ આપું છું. તેમણે કહ્યું કે ઘોડેસવારી મને ખૂબ પસંદ છે અને હકીકતમાં આજે સવારે (તા.30-01-22) જ ઘોડેસવારીનો ભરપૂર આનંદ માણ્યો હતો. સવજીભાઇ કહે છે કે રમતગમતની વાત કરું તો વોટર સ્પોર્ટસની પ્રવૃતિ દુધાળા તળાવમાં વિકસાવી છે. યુવાનો કદાજ કરતા ખચકાતા હશે પણ હું તો ડેરીંગથી કોઇપણ રમત રમી જાણું છું.
સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરો તેના બંધાણી ન બનો
અનેક યંગસ્ટર્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવતા સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે યંગસ્ટર્સ જેઓ સોશ્યલ મિડીયામાં બિનજરૂરી રીતે કલાકો વ્યતિત કરી નાંખે છે. મારું કહેવું છે કે આજના જમાનામાં સોશ્યલ મિડીયા જરૂરી છે પણ તેનો ઉપયોગ કરીને આપણું કામ કાઢી લેવાનું છે, તેના બંધાણી ન બનાય.
મારા ગુરુ ગોવીંદભાઇ ધોળકીયા
સવજીભાઇ ધોળકીયાને જ્યારે પૂછ્યું કે એવી કઇ વ્યક્તિ છે કે જેણે તમને ખુબ પ્રોત્સાહિત કર્યા છે, તેમણે કહ્યું કે મારા વડીલ બંધુ ગોવીદંભાઇ ધોળકીયા મારા માટે ગુરુ સમાન છે. આજે પણ અમે બેઉ ભાઇઓ વચ્ચે એટલું બોન્ડીંગ છે કે જેટલું કદાચ અન્ય કોઇ વચ્ચે ન જોવા મળે. જ્યારે ગોવીંદભાઇ ધોળકીયા સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે સવજીભાઇનો જન્મ થયો હતો. એ પછી બાર વર્ષની ઉંમરે સવજીભાઇ સુરત આવ્યા હતા.
ડાયમંડ બુર્સ સુરતની સિકલ બદલી નાંખશે
સુરત ડાયમંડ બુર્સ વિશે સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે સુરતની સિકલ બદલી નાંખશે. મુંબઇવાળાઓએ પણ સુરત તો આવવું જ પડશે. સુરતમાં વિશ્વના દસમાંથી આઠ હીરા કટ એન્ડ પોલિશ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બિઝનેસ માટે મુંબઇવાળાએ નહીં પણ જેણે બિઝનેસ કરવો હશે ડાયમંડનો એ તમામે સુરત આવવું પડશે.
ઇન્ટરનેશનલ બાયર્સ નહીં હવે ઓનલાઇન ટ્રેડિંગ જ ડાયમંડ ઉદ્યોગની વહારે
સુરતમાં હીરા ઉદ્યોગ વિકસી રહ્યો છે પણ સૌથી મોટી સમસ્યા ઇન્ટરનેશનલ બાયર્સની છે, તમે શું માનો છે એવા પ્રશ્નના ઉત્તરમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કોરોના કાળે સૌથી મોટી ભેંટ આપી છે અને એ ભેટ છે ઓનલાઇન પ્રવૃતિની. આજે 75 ટકાથી વધુ હીરાનું વેચાણ તો ઓનલાઇન ટ્રેડિંગથી થાય છે.
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત’ વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦ વાગે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ટ્રસ્ટની યૂટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનો છે.
આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ કરી છે. તેઓએ ૧૭મી ડિસેમ્બર,૧૯૭૨ ના દીવસે જીવતાં જ મૃત્યુનો અનુભવ કર્યો હતો. તે દરમિયાન તેઓને દિવ્ય પ્રીત-પ્રકાશ-ગતિની અનુભૂતિ થઈ હતી. અને ત્યારબાદ એમના જીવનમાં એક વળાંક આવ્યો અને તેમની આધ્યાત્મિક અંતર યાત્રાને નવો વેગ મળ્યો. આ અનુભૂતિ બાદ તેઓ સહજ સમાધિમાં સરી જતાં અને પ્રભુ સંદેશાઓને ઝીલતાં રહેતાં. પ્રભુ સંદેશાઓની પ્રસાદી રૂપે પરમાત્માએ તેમને અઢળક પઘ પદોનું ધન અર્પ્યું.
લગભગ ૮૦૦૦૦થી વધુ પદ્ય પદોનું ધન વિવિધ ભાષાઓમાં ઊતર્યું છે. આ પદ્ય પદોનું સંકલન વિવિધ પુસ્તકો રૂપે કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ ૧૭૫૦૦ પાના જેટલું સંકલન પુસ્તક રૂપે થયું છે. એમાંના કેટલાંક પદ્ય પદોને અમે ભજન રૂપે ગાઈએ છીએ. આ પ્રભુ પ્રસાદીના સંદેશાઓને, જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરવાના હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે.
અમારી સંસ્થા આશરે ૩૦ વર્ષથી પ્રભુના આ ધનને સમાજમાં અર્પણ કરવાં જ્ઞાન-ભક્તિનું આયોજન પ્રત્યક્ષ રૂપે મુંબઈ તથા ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં કરે છે. તદ્ઉપરાંત ડિજીટલ મિડીયાના માધ્યમ દ્વારા પણ અમે આ પ્રભુ સંદેશાઓને પ્રસરાવીએ છીએ. આ જ્ઞાન-ભક્તિના આયોજન પાછળનો હેતુ એક જ છે, કે પ્રભુ પ્રસાદીના અક્ષર શબ્દોનું ધન વધુ ને વધુ લોકોમાં વહેંચી શકાય. કોવિડની મહામારીને લીધે આ વરસે પણ પ્રત્યક્ષ મળવાનું શક્ય નથી, તેથી ડિજીટલ મિડીયા (યૂટ્યુબ – ફેસબુક લાઈવ) દ્વારા આપ જ્ઞાન-ભક્તિના આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ શકશો.
સંસ્થાની યૂ ટ્યુબ ચેનલ પર આપ અન્ય ભક્તિ સત્સંગના કાર્યક્રમો તથા ભજનો પણ જોઈ શકશો. આ ભક્તિ સત્સંગમાં પ્રત્યક્ષ તથા ઓનલાઈન જોડાવા માટે આપની વિગત અમને ઈમેઈલ દ્વારા મોકલાવી શકો છો, જેથી તમને ભવિષ્યના સત્સંગની જાણ કરી શકાય. અમારી વેબ સાઈટ પર ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, ઉદ્દેશ, તથા પુસ્તકો વિશે આપને વધુ જાણકારી મળશે.
આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ બ્લડ બેંક મિનીબજાર સુરત ખાતે થયું હતું.
સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા યોજાયો હતો રક્તદાન શિબિર
કાર્યક્રમનું સંચાલન સરદારધામ યુવા તેજ-તેજસ્વિની સંગઠન – સુરત દ્વારા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનાં સહકારથી આયોજન થયું હતું ‘સરદારધામ યુવા તેજ- તેજસ્વિની’નાં મેમ્બરો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સૌપ્રથમ સરદાર સાહેબની પ્રતિમા મિનીબજાર ખાતે પુષ્પાજંલિ અર્પીને વિધિવત રીતે દિપપ્રાગટ્ય કરીને શરૂઆત કરી હતી. લોકોમાં બ્લડ ડોનેટ કરવાનો જોશ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે પોતાનું બ્લડ ડોનેટ કરીને સાહેબની પુણ્યતિથી દિવસે કાંઈક સામાજીક દાયત્વ નિભાવ્યાનો અહોભાવ સ્પષ્ટ વર્તાતો હતો.
આ કેમ્પમાં દરેક સમાજના લોકો અને વધુ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ હતો. આ કેમ્પ દ્વારા શહેરમાં એક એવો મેસેજ આપ્યો છે કે સાંમ્પ્રત સમયમાં બલ્ડની પડતી ઘટને પૂર્તી કરવી એ આપણું સામાજીક દાયત્વ છે. સાથે સાથે લોકસમર્પણ બ્લડબેંક દ્વારા 350 થેલેસીમીયા પીડીત બાળકો ને દર 20 થી 30 દિવસનાં અંતરે બ્લડ ચડાવવું પડે છે જે બ્લડ બેંક નિ:શુક્લ ત્રીજા માળ પર અવીરત સેવા આપી રહી છે
સેંકડો દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવી અનેક સેવાકીય કાર્ય કરતા સુરતના સખાવતી પી.પી.સવાણી પરિવાર દ્વારા એક વર્ષના કોરોનાના કારણે પડેલા અંતરાલ પછી આ વર્ષે ફરી બે દિવસના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કર્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન “ચૂંદડી મહિયરની” નામે આગામી ૪ અને ૫ ડિસેમ્બરના રોજ સુરતના મોટા વરાછા ખાતે આયોજન થયું છે. ગણતરી છે કે આ સમારોહમાં ગુજરાતના ખૂણેખૂણેથી માનવ મહેરામણ ઉમટશે.
હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મ-વિધિ અનુસાર લગ્ન યોજાશે. કોવીડ પછીની સ્થિતિને કારણે લગ્ન સમારોહ મર્યાદિત મેહમાનોની હાજરીમાં બે દિવસ અને સવાર-સાંજ એમ ચાર તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 4446 અનાથ દિકરીઓનું કન્યાદાન કરી ચૂક્યા છે પાલક પિતા મહેશ સવાણી
આ વર્ષે ૩૦૦ દીકરીઓ પૈકીની ૧૦૩ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી; એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૪૪૪૬ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ ૩૦૦૦ જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યું છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે.
કોરોના વોરીયર્સના હસ્તે કન્યાદાન
લાગણીશીલ અને કરુણામય બની રહેનારા ચૂંડદી મહિયરની કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ કોવીડ-૧૯ માં સેવા આપનાર ૫૨ (બાવન) સંસ્થાના પ્રમુખ – ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સી.એ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ ના હસ્તે કન્યાદાન થશે.
આજે તા.1 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ “ચૂંદડી મહિયરની” લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજસ્વી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવીડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે.
વિગતો આપતા મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, અમે દરવર્ષે અમે લગ્ન સમારોહ તો કરીએ જ છે, ગયા વર્ષે કોવીડના કારણે આયોજન કરી ન શકાયું પણ આ વખતે પણ તમામ તકેદારી રાખીને ચાર ભાગમાં સમારોહને વર્ગીકૃત કર્યું છે જેથી વ્યવસ્થા પણ સચવાઈ અને સલામતી પણ રહે. કરિયાવરતો અમે આપીએ છીએ પરંતુ લગ્ન પછી પણ અમે દીકરી અને જમાઈની કાળજી લઈએ છીએ. પિતાપણું ક્ષણ કે દિવસ પૂરતું ન હોય એ બંધન આજીવન હોય છે એમ અમે માનીએ છીએ. આ દીકરીઓના પિતા તરીકેને શક્ય એવી તમામ જવાબદારી લગ્ન દરમિયાન અને લગ્નબાદ પણ અમે આખા પી.પી.સવાણી પરિવાર દ્વારા નિભાવાય છે. મારા પિતા વલ્લભભાઈનું સતત માર્ગદર્શન અને હૂંફ અમને મળે છે અને મારા બંને ભાઈ રમેશભાઈ અને રાજુભાઈની સાથે અમારા સંતાનો પણ આ કાર્યમાં પૂર્ણ રીતે સહભાગી હોય છે.
31 સમિતિએ થકી વિશાળ સમૂહ લગ્નોત્સવનું જડબેસલાક સંચાલન
“ચૂંદડી મહિયરની” કાર્યક્રમની તૈયારી તો મહિનાઓ અગાઉથી ચાલી રહી છે. પરંતુ લગ્ન દિવસોએ પણ સમગ્ર વ્યવસ્થા એટલી જડબેસલાક કરવામાં આવી છે કે દુલ્હા-દુલ્હન કે એના પરિવાર સહીત કોઈ મહેમાનને અગવડ ન પડે. સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવી છે અને એની જવાબદારી સોંપવામાં આવી છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર આયોજન સવાણી પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સ્નેહીજનો ઉપાડતા હોય છે.
પી.પી. સવાણી પરિવાર સામાજિક ઉત્તરદાયિત્વ બખૂબી નિભાવે છે
પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી, પરંતુ સુરત શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધોરણ ૧૦ સુધીની અભ્યાસ ફી અને દીકરીઓની કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. પી. પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતા હોઈ છે. પિતા ગુમાવનાર સુરતના ૮૬૦૦ થી વધુ પરિવારના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે.
• પ્રસંગે પધારેલ મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે…
• અખંડ ભારતની મુહિમ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાવારસદાર અને ભાવનગર રાજયના યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી, રાજમાતા સહ પરિવાર સમારોહમાં હાજરી આપશે.
• બંને દિવસ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એક દિવસ ૮૫વર્ષથી વધુ ઉમરના દાદા-દાદી અને વિવિધ ૪૫ સમાજના પ્રમુખ હસ્તે અને બીજા દિવસે વિધવા બહેનો અને નાની દીકરીઓના હસ્તે થશે.
• જાણીતા લોકગાયિકા યોગિતા પટેલ રચિત સમારોહનું થીમ સોન્ગ ” ચુંદડી મહિયરની” નું લોકાર્પણ થશે. સાથે જ એક શોર્ટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે.
• માનવતા ધર્મ – હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ચારેય ધર્મની વિધીમુજબ ચાર યુગલોના લગ્ન થવાના છે એની નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે.
• ૩૦૦ દીકરીઓ, એમની બહેનો, અગાઉ પરણી ચુકેલી બધી દીકરીઓ એકસાથે મહેંદી મુકવામાં આવશે. આ જ પ્રકારની મેહદી રસમને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
“ચૂંદડી મહિયરની” : ૦૪ અને ૦૫, ડીસેમ્બર- ૨૦૨૧, શનિવાર અને રવિવાર
નિસંતાનપણું આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. અનેક પરિવારો સંતાન નહીં થતા હોવાથી સામાજિક રીતે અનેક દુષણોની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા દંપતિઓને સંતાન થઇ શકે તે માટે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે. સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ, વૈશ્વિક સ્તરે જેમને IVF ના એક્સપર્ટ તરીકે માન્યતા મળી છે એવા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ, 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ એફોર્ડ નહીં કરી શકે તેવા નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટેની અંદાજે રૂ.1 લાખ 50 હજારની ગર્ભધારણ સુધીની સંપૂર્ણ સારવાર ફક્ત રૂ.35 હજારમાં જ કરી આપવામાં આવશે.
નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દર મહિને વધુમાં વધુ 10 યુગલોને આ પ્રકારે રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું હાલ પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ જેમ તેઓને ફંડિંગની સુવિધા વધુ મળશે તેમ તેમ તેઓ ભવિષ્યમાં આ સંખ્યા વધારી પણ શકે.
વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા
ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહે સ્વ.ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરીયલ ફંડ તેમજ તેની કામગીરી વિષે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી
લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં ડો. પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે ગર્ભધારણ સુધીની તમામે તમામ ટ્રીટમેન્ટ અને IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. એ પછી ડિલીવરી માટે કોઇપણ હોસ્પિટલમાં તેઓ જઇ શકશે.
આર્થિક રીતે IVFનો ખર્ચ ન ઉઠાવી શકે તેવી જરૂરીયાતમંદ મહિલાઓને જ ટ્રીટમેન્ટ મળશે
ડો.પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે આજે IVF ટ્રીટમેન્ટ સૌથી મોંઘી છે, અમારી જાહેરાત બાદ શક્ય છે કે કોઇપણ નિસંતાન દંપતિ આ ટ્રીટમેન્ટ સસ્તામાં મળતી હોઇ, એ લેવા અમારી પાસે પહોંચી શકે. પરંતુ, અમે સામાજિક સંસ્થાઓ કે અન્ય કોઇના રેફરન્સ તથા મહિલા ખરેખર જરૂરીયાત મંદ છે અને આર્થિક રીતે નબળા વર્ગની છે કે નહીં તેની તપાસ કર્યા પછી જ તેમની પસંદગી કરીશું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.