જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં સતત ત્રીજી વખત જીએસટી વળતરનો મુદ્દો ચર્ચાશે.
ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.
જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.
કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.
ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.












