સંસદનાં બંને ગૃહોને તેમના નિર્ધારિત સમય અગાઉ બેમુદત મુલતવી રખાવાની સાથે સંસદનું બજેટ સત્ર આજે સમાપ્ત થયું હતું.
લોકસભાની કાર્યવિધિઓને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવા પૂર્વે, સભાપતિ પદ સંભાળનાર, ભર્તૃહરિ મેહતા ઓમ બિરલા ઝડપથી સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી હતી અને સભ્યોને જાણ કરી હતી કે સ્પીકરની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે બજેટસત્ર દરમિયાન ગૃહની કામગીરીની સફળતા 114 ટકા રહી હતી.
તમામ સભ્યો વતી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા જલદી સાજા થઈ જાય એવી શુભકામના પ્રિસાઈડિંગ અૉફિસરે વ્યક્ત કરી. કોવિડ-19 માટેના ટૅસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યા બાદ બિરલા હાલ સારવાર હેઠળ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૅબિનેટના અનેક પ્રધાનો તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણીઓને કારણે સભ્યોએ માગણી કરવાને પગલે બજેટ સત્ર ટૂંકાવી દેવાયું છે. સંસદ સંકુલમાં મીડિયાને માહિતી આપતાં જોષીએ કહ્યું હતું કે વર્તમાન બજેટસત્રમાં બંને ગૃહોમાં કુલ 18 ખરડા પસાર કરાયા હતા. લોકસભામાં 18 ખરડા પસાર કરાયા હતા, જ્યારે રાજ્યસભાએ 19 ખરડાને મંજૂરી આપી હતી. બંને ગૃહોમાં 20 ખરડા રજૂ કરાયા હતા. પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ ખરડાને વધુ
ચર્ચાવિચારણા માટે સ્થાયી સમિતિને પાઠવાયા છે. બંને ગૃહોની સરળ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને જોષીએ વિપક્ષોને તેમના ટેકા બદલ આભાર માન્યો હતો. આઠમી માર્ચે શરૂ થયેલા બજેટસત્રના બીજા ભાગમાં પ્રથમ થોડા દિવસો સુધી ગૃહની કારવાઈ વારંવાર મુલતવી રાખવી પડી હતી, કારણ કે ઈંધણના ભાવવધારા સામે વિપક્ષે વિરોધ વ્યક્ત ર્ક્યો હતો. સત્રના બીજા ભાગમાં સરકારનું મુખ્ય ફોકસ, વેરાની વિવિધ દરખાસ્તો ધરાવતા નાણાં ખરડાની સાથે વર્ષ 2021-22 માટે ગ્રાન્ટસ માટેની વિવિધ માગણીઓને પસાર કરાવવાનું હતું.
દિલ્હીમાં ઉપ-રાજ્યપાલને સત્તા-મહત્તા આપતા ગવર્નમેન્ટ અૉફ નેશનલ કેપિટલ ટેરિટરી અૉફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને પણ ગૃહે મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષે આ ખરડાને “ગેરબંધારણીય’’ તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે કહ્યું હતું કે આ ખરડાનો ઉદ્દેશ દિલ્હીમાં ગેરવહીવટને સુધારવાનો છે.
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, બજેટસત્ર દરમિયાન 19 ખરડા પસાર કરાયા હતા. સત્ર દરમિયાન ગૃહની એકંદર કામગીરીની સફળતા 90 ટકા રહી હતી. કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરીને ગૃહનું કામકાજ સરળતાપૂર્વક ચલાવવામાં મદદરૂપ થવા બદલ તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો હતો.












