દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.
કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.
દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.
વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.
દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.
મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.