દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે Dt.13/5/22 સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.
આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૧, તમિલનાડુ-મહારાષ્ટ્રમાં ૬-૬ બેઠકો પર ચૂંટણી યોજાશે
ભાજપને લાભ છતાં બહુમતીથી દૂર રહેવાની શક્યતા : ઉપલા ગૃહમાં આપનું પ્રભુત્વ વધશે, અકાલી દળને મોટું નુકસાન
દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો પર ૧૦મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે.
ચૂંટણી પંચે ગુરુવારે Dt.12/5/22 જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો ૨૧મી જૂન અને ૧લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ ૨૦૨૪માં આવશે. રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૧૧ બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૬-૬, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી ૪-૪, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં ૨-૨ તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.
હાલમાં ૨૪૫ સભ્યાની રાજ્યસભામાં ભાજપના ૯૫, કોંગ્રેસના ૨૯ સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી ૧૧ બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.
વધુમાં આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે આપ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.
દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત
શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું.
દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી
નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.
દેશમા CAA લાગૂ કરવાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોના પુરો થતાની સાથે જ CAA કાનૂન લાગૂ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દાને લઇને પોતાની દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.
નીતિશ કુમારે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે,” દેશમાં તો કોરોના ફેલાઇ રહ્યો છે, જે પણ કેન્દ્રનો નિર્ણય હશે, હવે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે, મારી ચિંતા લોકોની રક્ષા કરવામાં છે. કોઇ પૉલિસીની વાત હશે તો, અમે તેને અલગથી જોઇશુ.”
મહત્વનું છે કે, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ શરુઆતથી જ CAA લાગૂ કરવાના વિરોધમાં જ રહ્યાં છે, પરંતૂ અમિત શાહના કહ્યાં બાદ બિહારના ઘણા મંત્રીઓ અને નેતાઓ બિહારમાં CAA લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે.
બીજેપી મંત્રી જનક રામે શુક્રવારે CAA ના નિર્ણયને લઇને કહ્યું કે, CAA BJP નો એજન્ડા છે, જેથી તેને બિહારમાં પણ લાગૂ કરવામાં આવશે. તો બીજી તરફ બિહારના બીજા એક નેતા પ્રમોદ કુમારે પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને કહ્યું કે, જો બંગાળમાં નાગરિકતા કાનૂન લાગૂ પડશે તો એવુ નથી કે, બિહારમાં લાગૂ નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે આ કાનૂન બિહારમાં પણ લાગૂ થાય.
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ વ્યાજદર વધારવાની કરેલી જાહેરાતથી ઘર, વાહન અને અન્ય ચીજો પર લીધેલી લોનનો ઇએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે.
બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો છે. પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લોન (કરજ) મોંઘી થશે. કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો હોવાથી બૅન્કોએ મધ્યવર્તી બૅન્કમાં વધુ નાણાં જમા કરાવવા પડશે.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે વીડિયો સંદેશામાં સંબંધિત જાહેરાત કરી હતી. આ નિર્ણયને લીધે બૅન્કિંગ સિસ્ટમમાંની પ્રવાહિતા (લિક્વિડિટી)માંથી અંદાજે રૂપિયા ૮૭,૦૦૦ કરોડ ઘટવાની શક્યતા છે. તેમણે રિવર્સ રેપો રેટનો કોઇ ઉલ્લેખ નહિ કર્યો હોવાથી તે યથાવત્ (૩.૫ ટકા) રખાયો હોવાનું મનાય છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે ૪.૧૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તેમ જ બૅન્ક રેટ ૪.૬૫ ટકા રહેશે.
આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો હતો. ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે અને તે વખતે પણ રેપો રેટ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટ વધવાની આશા રખાય છે.
રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સમસ્યાને ધ્યાનમાં રાખીને ફુગાવાનો દર ઊંચો રહેવાનો ભય વ્યક્ત કર્યો હતો. ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે. ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા. (એજન્સી)
રિઝર્વ બૅન્કની નીતિના મુખ્ય મુદ્દા
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ ત્રણ દિવસની બેઠકને અંતે જાહેર કરેલા નિર્ણયના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
ભારતમાં કુલ્લ જીએસટી વસૂલાતમાં નવો વિક્રમ સર્જાયો છે. વસ્તુ અને સેવાકર (જીએસટી) વસૂલાતથી એપ્રિલ 2022માં દેશની સરકારને કુલ્લ 1.67 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે જીએસટી વસૂલાત 1.50 લાખ કરોડને આંબી ગઇ છે. એપ્રિલ 2022માં રૂા. 1,67,590 કરોડની વસૂલાત થઇ છે.
માર્ચ મહિનામાં’ 1,42,095 કરોડ રૂપિયા જીએસટી વસૂલાત થઇ હતી, જે અગાઉના મહિનાઓ કરતાં સૌથી વધુ હતી. એપ્રિલ 2021માં જીએસટીરૂપે વસૂલાત રૂા. 1,39,708 કરોડ થઇ હતી. આમ, વાર્ષિક આધાર પર જીએસટી વસૂલાતમાં 20 ટકા વધારો આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને’ ઉત્તરપ્રદેશ એ પાંચ રાજ્યોમાં સૌથી વધુ વસૂલાત થઇ છે. એક વર્ષના ગાળામાં મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 19,’ ગુજરાતમાં 17 ટકા, ઉત્તરપ્રદેશમાં 16, તામિલનાડુમાં 10 ટકા વસૂલાત વધી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, છૂટક તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં વિક્રમસર્જક વધારા વચ્ચે જીએસટી વસૂલાતે વિક્રમ સર્જ્યો છે.
કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે.
સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.
સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના ૧૩ રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્ર સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી તે નિર્ણયનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે. અત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલેલી માલગાડીઓ રસ્તામાં છે અને તેને પ્રાથમિકતા મળે તે ખૂબ જ અગત્યનું છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.
દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે.
દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.
કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.
અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.
સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ભરેલા એક અભૂતપૂર્વ પગલામાં, સ્પાઇસજેટ એરલાઇન્સના 90 પાઇલોટ્સને બોઇંગ 737 MAX વિમાન ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ 90 પાઇલોટ્સ જ્યાં સુધી ડીજીસીએના નિરીક્ષણ હેઠળ યોગ્ય તાલીમ ન લે ત્યાં સુધી તેઓ 737 મેક્સ બોઇંગ વિમાન નહીં ઉડાડી શકે. નોઇડામાં ઉપલબ્ધ સુવિધામાં આ 90 પાઇલટ્સે લીધેલી સિમ્યુલેટર તાલીમમાં વિસંગતતાઓ શોધી કાઢ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પગલું લીધું હતું.
સ્પાઇસ જેટના 90 પાઇલોટ્સ પર મૂકાયેલા પ્રતિબંધને સમર્થન આપતા ભારતના ઉડ્ડયન નિયમનકાર અરુણ કુમારે મંગળવારે તા.12મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ટ્રેનિંગમાં રહી ગયેલી કથિત ક્ષતિને પગલે એરલાઇનની પાઇલટ તાલીમ પણ રેગ્યુલેટરના સ્કેનર હેઠળ છે. સ્પાઇસ જેટના (90) પાઈલોટ્સને બોઈંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. તેઓએ DGCA ના સંતોષ માટે ફરીથી તાલીમ લેવી પડશે,
બીજી તરફ સ્પાઇસજેટ એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું: “DGCA એ 90 પાઇલોટ્સએ ભૂતકાળમાં અનુસરેલી તાલીમ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમાં કેટલીક કચાશ રહી ગઇ હોવાથી DGCAની સૂચના મુજબ, સ્પાઈસજેટે 90 પાઈલટોને MAX એરક્રાફ્ટ ઉડાડવાથી હંગામી ધોરણે દૂર કર્યા છે. આ પાઇલોટ્સ ડીજીસીએના સંતોષ માટે ફરીથી તાલીમ લેશે.
સ્પાઇસ જેટ એરલાઇન્સ હાલમાં તેના કાફલામાં ઉપલબ્ધ બોઇંગ 737 MAX પ્રકારના 13 માંથી 11 વિમાનોનું સંચાલન કરે છે, આ 11 વિમાનો પર ભારતમાં 60 દૈનિક ફ્લાઇટ્સ ઉડી રહી છે, 90 પાઇલોટ્સ પર આ વિમાન ચલાવવા પર મૂકાયેલા પ્રતિબંધની અસર સ્પાઇસ જેટની દૈનિક ફ્લાઇટ પર નહીં પડે.
“11 એરક્રાફ્ટ (MAX) નું સંચાલન કરવા માટે લગભગ 144 પાઇલોટ્સ જરૂરી છે. સ્પાઇસજેટ પાસે હાલમાં MAX પર 560 પ્રશિક્ષિત પાઇલોટ્સ છે. પ્રશિક્ષિત પાઇલટની સ્ટ્રેન્થ હોવાથી દૈનિક ઉડ્ડયનની સામાન્ય કામગીરી ચાલુ રાખવા માટે પર્યાપ્ત કરતાં વધુ છે,” એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ 90 પાઈલટ તેમની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે નિર્ણાયક “મેન્યુવરિંગ લાક્ષણિકતાઓ વૃદ્ધિ પ્રણાલી” (MCAS) સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરી રહી ન હતી. MAX માટે બોઇંગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવાદાસ્પદ ફ્લાઇટ સ્ટેબિલાઇઝિંગ પ્રોગ્રામ MCAS, આખરે ઓક્ટોબર 2018 અને માર્ચ 2019માં Lion Air અને Ethiopian Airlines B737 MAX ક્રેશ માટે જવાબદાર હોવાનું જણાયું હતું, જેમાં 346 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
“આ સિસ્ટમનો એક ભાગ, ‘સ્ટીક શેકર’ જે કંટ્રોલ કોલમને વાઇબ્રેટ કરે છે અને જ્યારે જેટ લિફ્ટ ગુમાવવાનું જોખમ લે છે ત્યારે જોરથી અવાજ કરે છે, તે પણ આ પાઇલટ્સને તાલીમ આપતી વખતે સિમ્યુલેટરમાં યોગ્ય રીતે કામ કરતું ન હતું,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.
લાયન એર અને ઇથોપિયન MAX બંને ક્રેશમાં, એરક્રાફ્ટ નોઝ નીચે ધકેલવામાં આવ્યું હતું કારણ કે ઘણા પરિબળોને કારણે પાછળથી ધ્યાન આપવામાં આવ્યું હતું જ્યારે MAX ને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ પછી ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી. MAX સિમ્યુલેટર પર MCAS માટે સાચી પાયલોટ તાલીમ આ પ્લેનને સુરક્ષિત રીતે ઉડાડવાની ચાવી છે.
સ્પાઇસજેટ હાલમાં એકમાત્ર ભારતીય એરલાઇન છે જે MAXનું સંચાલન કરે છે.
અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે
કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.
અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે.
દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.