એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.


















