ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.
અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.
સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.
એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.














