રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.
જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.
કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.
સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.
હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.
જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.
માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.
પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.
રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.