CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 6 of 126 - CIA Live

June 20, 2022
rajnath.jpg
2min218

કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

– વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

June 17, 2022
agnipath.jpg
1min314

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ગુરુવારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હોવા ઉપરાંત સરકારી વાહનો પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનાર્થીઓએ રેલવેની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત ભાભુઆ અને છાપરા રેલવે સ્ટેશને ઊભેલી ટ્રેનને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી. ઘટનાને પગલે ૩૪ કરતા પણ વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી અને આઠ જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી.

વિરોધપ્રદર્શનને કારણે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)ની પરીક્ષા વિલંબમાં પડી હતી. વિરોધપ્રદર્શનને કારણે વધુ ૭૨ ટ્રેન પણ વિલંબમાં પડી હતી. રાજધાની દિલ્હીમાં નાન્ગ્લોઈ ખાતે પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધપ્રદર્શનના બીજે દિવસે બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હતી, બસની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને ભાજપના વિધાનસભ્ય સહિત વટેમાર્ગુઓએ પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓને વિખેરવા પોલીસને અશ્રુવાયુ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ યોજના અંતર્ગત યુવાનોને સેનાની ત્રણ પાંખ (હવાઈ દળ, નૌકાદળ અને પાયદળ)માં નોકરી માટે ચાર વર્ષના ટૂંકાગાળા માટે કરારબદ્ધ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. જોકે, ચાર વર્ષ બાદ તેઓ નિવૃત્ત થાય તેમને ગ્રેચ્યુઈટી કે પેન્શન આપવાની તેમાં કોઈ જ જોગવાઈ નથી.

June 16, 2022
5g.jpg
1min276

ભારતમાં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી ભારતમાં પણ ૫-જી ઇન્ટરનેટ સ્પીડ મળશે. કેન્દ્ર સરકારે ૫-જી સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. નિષ્ણાતોના મતે ભારતમાં ૫-જી આવવાથી હવે હાલ જે ૪-જી છે તેના કરતા ૧૦ ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી ૫-જી સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૫-જી સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે. અને ૭૨ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. હાલ ભારતમાં ૪-જી નેટવર્ક છે. જોકે તેમ છતા અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે ૫-જી આવી જવાથી વધુ સ્પીડ વાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે ૫-જી મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો ૫-જી નેટવર્ક ૧જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ ૪-જીમાં આ સ્પીડ ૫૦એમબીપીએસ સુધીની છે.  ૫-જી સ્પેક્ટ્રમની હરાજી જુલાઇના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ હરાજી ૨૦ વર્ષ માટે કરવામાં આવશે. જેમાં ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨,૧૦૦ અને ૨૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડની લો રેંજના સ્પેક્ટ્રમ, ૩૩૦૦ મેગાહર્ટ્ઝ બેંડના મધ્યમ રેંજના સ્પેક્ટ્રમ અને ૨૬ ગીગાહર્ટ્ઝ બેંડના હાઇરેંજ વાળા સ્પેક્ટ્રમ સામેલ છે. ડિજિટલ કનેક્ટિવીટી સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓનો હિસ્સો છે. વર્ષ ૨૦૧૫ પછી દેશભરમાં ૪-જી ટેક્નોલોજીનો વિસ્તાર થયો. જેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી ગઇ છે. આજે દેશમાં ૮૦ કરોડ ગ્રાહકો બ્રોડબેંડ સાથે જોડાયેલા ે. આ આંકડો વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૦ કરોડ જ હતો. નોંધનીય છે કે ૫-જીની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત ૪.૩૧  લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ટરનેટની પાંચમી જનરેશનને ૫-જી તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. ૧૯૮૦ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે ૧-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ ૧૯૯૨-૯૩ સુધી થયો હતો. જ્યારે ૨-જીની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. બાદમાં ૨૦૦૧માં ૩-જી અને ૪-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં ૨૦૧૦માં જ ૫-જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં ૧૧ વર્ષ લાગ્યા.   

5G નેટવર્કના ફાયદા

સ્પીડ : પ-જી ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો તેની સ્પીડ છે, હાલ જે ૪-જીની સ્પીડ મળી રહી છે તે ૧૦૦એમબીપીએસ સુધીની હોય છે. ૫-જીમાં તે ૧૦ ગણી વધી જશે. હાલ લો બેંડ ૫-જી ઉપલબ્ધ કરાશે જેની સ્પીડ ૧થી ૨જીબીપીએસ સુધીની રહેશે. ૧૦થી ૨૦ સેકંડમાં બે જીબી સુધીની ફિલ્મ ડાઉનલોડ થઇ શકશે. 

કવરેજ : ૪-G નેટવર્ક હાલ મોટા ભાગના વિસ્તારોમાં ઉપલબ્ધ છે જોકે તેમ છતા અંતરિયાળ વિસ્તારોમાં હજુ તેનો લાભ નથી પહોંચ્યો, ૫-જીના માધ્યમથી ટેલીકોમ કંપનીઓને નેટવર્ક રેંજ વધારવામાં મદદરુપ થઇ શકે છે.

4કે વીડિયો કોલ : હાલ જેટલી સ્પીડ છે તેના કરતા ૧૦ગણો વધારો થશે જેનાથી યૂઝર્સ હાઇ ક્વોલિટી, અલ્ટ્રા હાઇ રિઝોલ્યૂશન અને ૪કે વીડિયો કોલ્સ કરી શકાશે. વધારે સારી કનેક્ટિવિટી અને કોલિંગ સુવિધા મળશે. એચડી ક્વોલિટીના ઓડિયો અને વીડિયો કોલિંગ કરી શકાશે. ઓનલાઇન ગેમિંગમાં ફાયદો થશે.

June 9, 2022
mask_in_flights.jpg
1min268

એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે. 

તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.

ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. 

કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.

June 9, 2022
rain_forecast.png
1min277

કેરળમાં નૈર્ઋત્ય મોસમી વાયરાનું આગમન થયા બાદ મોન્સૂન કર્ણાટકના કિનારા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી ગોવામાં તેનું આગમન થયું હતું. સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે, એવો હવામાન ખાતાનો અંદાજ જોકે ભૂલભરેલો હતો. હવે ૧૨થી ૧૩મી જૂન દરમિયાન મોન્સૂન દાખલ થશે, એવી નવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આગામી દિવસમાં કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ એમ તમામ ઠેકાણે પ્રિ-મોન્સૂન વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં અમુક જિલ્લાને બાદ કરતાં મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વર્તાવવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, પાલઘર, નંદુરબાર, ધુળે, જળગાંવ, ભંડારા અને ગઢચિરોલીને બાદ કરતાં મહારાષ્ટ્રમાં વરસાદનું મોજું ફરી વળશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જે ભાગમાં વરસાદ પડવાનો છે ત્યાં હવામાન ખાતાએ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લામાં બુધવારે સવારથી મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદ નહોતો પડ્યો. આથી અહીં ગમે ત્યારે પ્રિ-મોન્સૂન થાય એવો અંદાજ વર્તાઈ રહ્યો હતો. આગામી પાંચ દિવસ આવા જ રહેશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં મોન્સૂનના આગમન માટે પોષક હવામાન તૈયાર થઇ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ કોંકણમાં અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. હવામાનની આ સ્થિતિ મોન્સૂનના આગમન માટે લાભદાયી નીવડશે.

દરમિયાન હવામાન ખાતાએ બુધવારે પુણે સહિત સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, બીડ, એહમદનગર, ઔરંગાબાદ, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, નાશિક, બૂલઢાણા, અકોલા, વાશીમ, યવતમાળ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઠેકાણે મેઘગર્જના સહિત વરસાદ પડવાની શક્યતા છે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

June 1, 2022
rain_forecast.png
1min280

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.

ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન  વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.

દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.

May 31, 2022
Indian-Defence.jpg
1min261

દુનિયાએ વર્ષ 2021માં સેના પાછળ થતાં ખર્ચમાં 0.7 ટકાનો વધારો કર્યો છે. જે હવે વધીને 2113 અબજ ડોલર એટલે કે આશરે 163 લાખ કરોડ રૂપિયા થાય છે. જે પાંચ દેશે પોતાની સેના ઉપર સૌથી વધુ ખર્ચ કર્યો છે તેમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે.

આ પાંચ દેશે મળીને દુનિયાના કુલ સૈન્ય ખર્ચના 62 ટકા જેટલો ખર્ચ કર્યો છે. વિદેશી નાણાં અને પોતાનાં શત્રોનાં જોરે હાકલા કરનારા કંગાળ પાકિસ્તાનને આમાં ક્યાંય જગ્યા મળી નથી. પાકિસ્તાને ગત વર્ષે પોતાનાં રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કર્યો હતો. જે વધીને 8.8 અબજ ડોલર એટલે કે 68,227 કરોડ રૂપિયા થાય છે. ભારતની તુલનામાં આ ખૂબ જ ઓછી રકમ છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયુટ(સિપ્રી) દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં જાણવા મળે છે કે, કોરોનાકાળનાં બીજા વર્ષે પણ વિભિન્ન દેશોએ પોતાનાં સંરક્ષણ ખર્ચ વધાર્યા છે. છેલ્લાં સાત વર્ષથી સતત દુનિયાનો સંરક્ષણ ખર્ચ વધી રહ્યો છે.

વર્ષ 2021માં અમેરિકાએ પોતાની સેના પાછળ 801 અબજ ડોલર એટલે કે 62.13 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરેલો. ત્યારબાદ ચીને 293 અબજ ડોલર એટલે કે 22.72 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ત્રીજાં સ્થાને રહેલા ભારતે 76.6 અબજ ડોલર એટલે કે આશરે પ.94 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. રશિયાએ 6પ.9 અબજ ડોલર-આશરે પ.11 લાખ કરોડ રૂપિયા જેટલો રક્ષા ખર્ચ કર્યો છે.

May 29, 2022
rrgt.jpg
1min254
IPL 2022 Live Cricket Scores, News, Stats, Schedules, Results, Highlights,  Photos, Videos – NDTV Sports

આઈપીએલની આજે Dt. 29/5/22 Ahmedabad રમાનારી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. બે મહિના અગાઉ આઈપીએલ શરૂ થઈ ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આઈપીએલની ફાઈનલમાં ટોસ ઉછાળવા જનારા બે કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન હશે. 

ગુજરાત ટાઈટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને વડા કોચ આશીષ નહેરા માટે ફાઈનલ સુધીની આ સફર અદ્ભુત રહી છે કેમ કે ઑક્શન અગાઉ નિષ્ણાતો સહિત અનેક લોકોએ ગુજરાત ટાઈટન્સની ટીમને આશાવિહોણી લેખાવી હતી. 
પેપર આ ટીમ સારી નહોતી જણાઈ. શારીરિક રીતે ફરી સજ્જ થઈ ગયેલા હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્ત્વ સંભાળી લીધું હતુું અને ભારતીય ક્રિકેટ માટે તે શા માટે ઍસેટ છે તે દર્શાવી દીધું હતું.

સતત પાંચ વર્ષ નિષ્ફળ રહેલા મિલરે પણ આ વખતની આઈપીએલમાં ર્સુંદર પ્રદર્શન કરી તમામ લોકોને આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. ટેવટિયાએ પણ પુરવાર કરી દીધું હતું કે શારજાહમાં ફટકારેલી પાંચ સિક્સર એ માત્ર 
જોગાનુજોગ નહોતો. 

ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણેના ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં ફાઈનલમાં વિજય મેળવી ઈતિહાસ રચવાના પ્રયાસ કરશે તો રાજસ્થાન રોયલ્સની ટીમ વિજય મેળવીને ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શૅન વૉર્નને અંજલિ આપશે. 
રવિન્દ્ર જાડેજા, દિનેશ સાલૂંખે, સ્વપ્નીલ અસનોડકર અને નિરજ પટેલ જેવા ખેલાડીઓની મદદથી શૅન વૉર્ન સૌથી નબળી ટીમને ટુર્નામેન્ટમાં વિજય સુધી દોરી ગયો હતો. 

દેશ માટે ૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવા છતાં સંજુ સૅમ્પસન મોટો ચાહક વર્ગ ધરાવે છે. સંજુની બૅટિંગમાં પણ જોઈએ એવું સાતત્ય જોવા નથી મળતું, પરંતુ કૅપ્ટન તરીકેની તેની ક્ષમતા વખાણવા લાયક છે. 
ફાઈનલમાં વિજય મેળવવા બંને કૅપ્ટન કેવો વ્યૂહ અપનાવે છે તે આપણને આવનારાં ૨૪ કલાકમાં જાણવા મળશે. 

ટીમ ગુજરાત ટાઈટન્સ: 

હાર્દિક પંડ્યા (કૅપ્ટન), અભિનવ મનોહર, ડૅવિડ મિલર, ગુરકેરાત સિંહ, બી. સાંઈ સુદર્શન, શુભમન ગીલ, રાહુલ ટેવટિયા, વિજય શંકર, મૅથ્ય વૅડ, રહમાનુલ્લાહ ગુરબાઝ, રિદ્ધિમાન સાહા, અલ્ઝારી જૉસેફ, દર્શન નાલકંડે, લૉકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, નૂર અહમદ, પ્રદીપ સંગવાન, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર, વરુણ આરોન, યશ દયાલ.

રાજસ્થાન રોયલ્સ: 

સંજુ સેમસન (કૅપ્ટન), જૉ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્ર્વિન, ટ્રૅન્ટ બૉલ્ટ, શિમરોન હૅટમાયર, દેવદત્ત પકીક્કલ, પ્રસિધ ક્રિષ્ણા, યઝુવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કે. સી. કેરિઅપ્પા, નવદીપ સાઈની, ઑબેદ મૅકોય, અનુનય સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમ ગરવાલ, જૅમ્સ નૅશામ, નાથન કાઉલ્ટર-નિલ, રાસિ વૅન ડૅર દસન, ડૅરિલ મિશેલ, કૉર્બિન બૉસ્ચ.

May 24, 2022
kedarnath.jpg
1min522

ભારે ગરમી વચ્ચે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી લોકોને ભારે રાહત થઇ હતી. સોમવારે દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સામાં વરસાદ પડયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ દિલ્હીમાં પડવાથી નીચા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. બીજી તરફ કેટલાક રાજ્યોમાં હજુ પણ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 

જેમ કે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તાપમાન ૪૫.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ આગામી પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે દેશના અન્ય કોઇ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહીં રહે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સોમવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં ૯ સેમી, ગુરુગ્રામમાં ૭ સેમી, દિલ્હીમાં ૫ સેમી વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું. 

દિલ્હીમાં સોમવારે પવન સાથે વરસાદ પડયો હતો જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. સવારે જ પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે વૃક્ષો પડી જવાથી નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પવન સાથે વરસાદ પડવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વિજળી જતી રહી હતી. જ્યારે જવલપુરી, ગોકલપુરી, શંકર રોડ અને મોતી નગરમાં મકાનો પડી જવાથી આઠ લોકો ઘવાયા હતા. 

વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.  દિલ્હીમાં હવામાને અચાનક પલટો મારતા ૪૦ જેટલી ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને પોતાની ફ્લાઇટની જાણકારી મેળવ્યા પછી જ એરપોર્ટ આવવાની સુચના જારી કરવી પડી હતી.   બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદ પડયો હતો, જેને પગલે કેદારનાથ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને જ્યારે હવામાન સાફ થઇ જાય પછી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વરસાદને પગલે પંજાબથી અન્ય રાજ્યોમાં લઇ જવાતા ચોખાના ૧૫ હજાર બોરા પલળી ગયા હતા. જેને પગલે ચોખા બગડી ગયા હતા અને ગરીબોને મળનારા પંજાબના ચોખા બરબાદ થઇ ગયા હતા. જ્યારે અનેક ખેડૂતોએ ખુલ્લામાં મુકેલું અનાજ અને શાકભાજી પલળી ગયા હતા. ખાસ કરીને ચણા, મગફળી, મટર તેમજ અન્ય કઠોળ પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશના સાતના જિલ્લામાં મૈહાર હિલ સ્ટેશન પર રોપવેને ભારે વરસાદ અને પવનને પગલે અટકાવી દેવો પડયો હતો જેથી ૨૮ લોકો અધવચ્ચે જ અટવાઇ ગયા હતા.

May 17, 2022
gyanvapi.jpg
1min466

Gyanvapi Masjid Survey Will Start From Today Read Abp News Report About  Inside Mosque Area | Gyanvapi Masjid: आज से ज्ञानवापी का फिर शुरू हुआ  सर्वे, मस्जिद के अंदर ABP न्यूज ने

ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે. જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા. 

સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે. 

બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે. બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું. 

નોંધનીય  છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.  

કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો

– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે. 

બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે. 

મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે. જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે. આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું.