
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો.
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.
રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો. આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું.
રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો.
અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી. રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.












