મહારાષ્ટ્રએ ઓમિક્રોન વેરિયંટ રાજ્યમાં ના પ્રસરે તે માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 30 નવેમ્બરના રોજ એક આદેશ બહાર પાડ્યો છે. જે અનુસાર, મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરનારા કોઈપણ વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ, જો વેક્સિન ના લીધી હોય તો તેમણે રાજ્યમાં એન્ટ્રી કરવાના 48 કલાક સુધીમાં કરાવેલો RTPCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સરકારના આ અંગેના ઓર્ડરમાં જણાવાયું છે કે કોરોનાના નવા વેરિયંટને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 અંતર્ગત તાત્કાલિક અસરથી વેક્સિન અથવા RTPCR ટેસ્ટ એમ બે વિકલ્પ આપી દેવાની સાથે તેના પર અમલ પણ શરુ કરી દીધો છે. બહારના રાજ્યોમાંથી મહારાષ્ટ્રના કોઈપણ એરપોર્ટ પર લેન્ડ થનારા પ્રવાસીને પણ 48 કલાક સુધીમાં થયેલો RTPCR ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. જોકે, આ નિયમ જેમણે રસીના બંને ડોઝ નથી લીધા માત્ર તેમના પર જ લાગુ પડે છે.
અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાની સામે ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે.’
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાનાં 320 ગામ, રાજકોટ જિલ્લાનાં 156 ગામ, જૂનાગઢ જિલ્લાનાં 135 ગામ અને પોરબંદર જિલ્લાનાં 71 ગામ મળી કુલ’ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોનાં ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત અગાઉ પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેનાં જાહેર કરેલાં રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. આ ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પણ પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.
આજ Dt.29/11/21થી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.
શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.
સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે.
રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.
કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે.
લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે.
સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ,’ નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડયું છે. ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, બે દિવસ બાદ
ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.’ અહીં નોંધવું ઘટે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતનાં અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સ’ છવાઈ જાય છે. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી ફરજિયાત બની ગયું છે. તો સાથે જ વહેલી સવારના સમયે ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.
ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.
સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?
આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.
હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જ્યારે ત્રણેય કાયદા સંસદમાં પરત ફરશે તો આંદોલનો પણ ફરી વળશે. ટિકૈતે કહ્યું, મને મોદીમાં વિશ્વાસ નથી. તેમણે દરેકને રૂ. 15 લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.
પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે.
ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને 15 લાખ રૂપિયા મળ્યા?
કોંગ્રેસની પ્રતિક્રિયા
સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે.
રાહુલ ગાંધી
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.
સંયુક્ત કિસાન મોરચા
સંયુક્ત કિસાન મોરચા (SKM) 40 ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે PM મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે “સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે.”
અમરિંદર સિંહ
જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.
નવજોત સિંહ સિધુ
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે.
પી ચિદમ્બરમ
કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.
મમતા બેનર્જી
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.
મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; 700 થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું,” ખડગેએ કહ્યું.
અનિલ ઘનવત
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.”
પ્રકાશ સિંહ બાદલ
શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે.
ઓમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.
વિક્રમ સંવત ૨૦૭૮માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.
વિક્રમ સંવત ૨૦૭૮માં કાર્તિક સુદ પૂર્ણિમાને ૧૯ નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ સવારે ૧૧ કલાક ૩૨ મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે ૧૨ કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય બપોરે ૨ કલાક ૩૨ મિનિટ ૫૫ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે ૪ કલાક ૧૭ મિનિટ ૭ સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે ૫ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ ૩ કલાક ૨૮ મિનિટ ૨૪ સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ ૬ કલાક ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે.
ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ ૨૦૨૨ માં પાંચ ગ્રહણ છે તેમ શરૃના ૪ ગ્રહણ દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આથક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે. ‘
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ ભાગોમાં વાદળિયુ વાતાવરણ છવાયેલ રહ્યું હતું અને રાજ્યનાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.’ અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ પડયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતા. આજે આખો દિવસ વાદળછાયું વાતારણ રહ્યું હતું.
સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. કેશોદના શેરગઢમાં આજે બપોરે જાણે કે ચોમાસું હોય તેમ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે અત્યારે ખેતરમાં તૈયાર પાક પડયો છે જેને નુકસાન થયું છે. તેમજ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને પણ અસર પહોંચશે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના એપીએમસી દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે વાતાવરણ ચોખ્ખુ ન થાય ત્યા સુધી જણસો લાવવી નહીં.’
શેરગઢ :
કેશોદ તાલુકાના શેરગઢ તથા આજુબાજુ વિસ્તારમાં આજરોજ બપોર પછી 1 ઈંચ વરસાદ પડયો હતો. આ વરસાદ પડતાં ખેતીમાં તૈયાર થતા મગફળી અને તેના ચારામાં મોટુ નુકસાન થયું છે.
જામનગર :
જામનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા જોરદાર પલટાના કારણે ગઈકાલે મિનિ વાવાઝોડા જેવો પવન ફૂંકાયા પછી આજ સવારથી જામનગર શહેર, જોડિયા અને લાલપુરમાં વાદળછાંયા વ્તાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડયા હતાં. સાથોસાથ બર્ફીલો પવન પણ અવિરત રહેતા શહેર જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું.
ગારિયાધાર :
ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ હળવા કમોસમી વરસાદના ઝાપટાં વરસી પડયા હતા. શહેર ઉપરાંત નાનીવાવડી, પરવડી, નવાગામ, વિરી જેવા ગામે પણ ઝાપટું વરસી પડયું હતું.
સરા :
મૂળી તાલુકાના સરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતાં. ઠંડાગાર વાતાવરણ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પાથરા કરેલ પાક બચાવવા પ્લાસ્ટિકથી ઢાકવા દોડધામ કરવી પડી હતી.
જામખંભાળિયા :
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંથકમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજ વહેલી સવારથી વરસાદી માહોલ સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે ખંભાળિયા પંથકના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદના છૂટા છવાયા છાંટાઓ પડયા હતાં. અત્યારે ખેડૂતોને ચોમાસુ પાક ખેતરમાં હોય અને માલ ઢોરના ચારા પણ ખુલ્લામાં પડયા હોય ત્યારે આ કમોસમી વરસાદ થવાની સંભાવના ઉભી થતા ચોમાસુ પાકની ઉત્પાદન થયેલ ખેત પેદાસને ભારે નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
મોરબી :
મોરબી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતાં. જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ :
સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં 1 થી 7 મી.મી.કમોસમી વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને સર્વત્ર ટાઢોડુ છવાઈ ગયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી છાંટા તથા ઝાપટા રૂપે કમોસમી વરસાદ શરૂ થયો હતો.
માણાવદર :
માણાવદર તાલુકાનામાં કમોસમી વરસાદથી પાકને નુકસાની થયેલ છે તેમજ ખુલ્લામાં પડેલ ચારો બગડયો છે. વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.
સુરત :
માવઠાની આગાહીની અસર સુરત જિલ્લાના બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કપરાડામાં કમોસમી વરસાદ પડયો હતો. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બારડોલીમાં બપોરના સમયે 2 થી 4 વાગ્યાના સુમારે અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
મોડાસા :
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ થતા કારતકે શ્રાવણ જેવો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં કાર્તકી પૂર્ણિમાના મેળા ટાણે વરસાદ ખાબકતા મેળામા લાગેલ ટેન્ટ પલળી ગયા હતાં. વહેલી સવારે વરસાદથી ભકતોએ ભારે હાલાકી અનુભવી હતી. સતત 15 મિનિટસ સુધી વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
અમદાવાદ :
રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ પડયો છે. રાજ્યમાં હજુ પણ 47 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ માવઠાની આગાહીના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્રએ એપીએમસીમાં ચાર દિવસ દરમિયાન પાક લઈને ન આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
આજે Dated 18/11/21 વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે.
આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે.
આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.