CIA ALERT

બિઝનેસ Archives - Page 62 of 76 - CIA Live

December 17, 2018
pro_logo.jpg
1min13160

  • નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
  • 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
  • સસ્તા મકાનની માગમાં થયેલો વધારા

દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.

નવ શહેરોમાં થયો હતો સરવે

  • મુંબઈ
  • પુણે
  • નોઈડા
  • ગુરૂગ્રામ
  • બેંગલુરૂ
  • ચેન્નઈ
  • હૈદરાબાદ
  • કોલકાત
  • અમદાવાદ

પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.

રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.

December 15, 2018
sparkle.jpg
1min5460

સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ એક્ઝીબિશનમાં અત્યંત ટાઇટ સિક્યુરિટી, સતત કેમેરા સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાની હિંમત દાખવે છે. શુક્રવાર તા.14મી ડિસેમ્બર 2018ની સાંજે સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠીક હતી ત્યારે એક ગઠીયાએ સુરતના જ એક વેપારીના સ્ટોલ પરથી 99.13 કેરેટના હીરા ચોરીછૂપીથી તફડાવી લીધા હતા. બાદમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.

ચેમ્બરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ એન્ડ જ્વેલરીના સ્પાર્કલ 2018 પ્રદર્શનમાં 212 નંબરનો સ્ટોલ સુરતના નાનપુરા સ્થિત સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા જ્વેલર તેજશ સુરેશભાઇ શાહ ધરાવે છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર મુલાકાતી બાયર તરીકે આવેલા એક ગઠીયાએ 99.13 કેરેટના હીરા નજર ચૂકવીને ચોરી લીધા હતા. બાદમાં હીરાના સ્ટોકની ઘટ આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ રૂ.6 લાખની બજાર કિંમત ધરાવતા હીરા ગૂમ થયા હતા.

તાત્કાલિક સી.સી. ટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા જે ગઠીયાએ ચોરી કરી હતી એ તમામ સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. બનાવ અંગે પોલીસને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ આશાવાદ સેવી છે કે સ્પાર્કલ પ્રદર્શનમાંથી હીરા તફડાવનાર તસ્કર ટૂંક સમયમાં પોલીસ ઝડપી લેશે.

December 10, 2018
urjit_patel.jpg
1min3390

RBIના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે. જેની પાછળ ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ અને કેંદ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવ અને મતભેદ ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસો RBIની બોર્ડની બેઠક બાદ અહેવાલો આવ્યા હતા કે સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. જો કે તે વચ્ચે આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ સાંજે આર.બી.આઇ.ના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું.

“કેટલાક અંગત કારણોના લીધે મે મારા વર્તમાન હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા છે વર્ષો સુધી અલગ અલગ હોદ્દા પર કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. RBIના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સહયોગથી બેંકે આ વર્ષોમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે. હું મારા સહકર્મચારીઓ અને RBIના સેંટ્રલ બોર્ડના ડિરેક્ટરનો આભાર માનું છું, અને હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું”

આવતીકાલ તા.11મી ડિસેમ્બર 2018નો દિવસ ભારતના અર્થતંત્ર માટે નઠારો બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજાર પર ઉર્જિત પટેલના રાજીનામાની ઘેરી અસર પડવાની શક્યતાઓ નકારી શકાતી નથી તો બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો પણ ભારતીય અર્થતંત્રને મોટી અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

December 10, 2018
sensex.jpg
1min7720

આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.

બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.

ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.

બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.

ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.

December 8, 2018
diamond.jpg
1min3870

વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા અને હીરા કટિંગ-પોલિશિંગના હબ ગણાતા સુરતમાં દિવાળી વેકેશનથી બંધ થયેલા સેંકડો નાના કારખાનાઓ દિવાળીના એક મહિના પછી પણ હજુ સુધી શરુ થયા નથી. મોટા કારખાનાઓ શરૂ થઇ ચૂક્યા છે પરંતુ, કમસે કમ 50 હજાર લોકોને રોજગારી આપતા નાના હીરાના કારખાનાઓમાં જોબવર્કના અભાવે હજુ સુધી કારખાનેદારોએ કારીગરોને કામ પર બોલાવ્યા ન હોવાની વિગતો જાણવા મળી છે.

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરતના હીરા ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં કારખાનાઓ ધમધોકાર ચાલે છે જ્યારે સુરતના હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી રહી છે, દિવાળી અગાઉ કેટલાક કારખાનાઓમાં કામ નહીં હોવાથી વેકેશન પહેલા જ રજાઓ આપી દેવામાં આવી હતી.

દિવાળીના તહેવારો પૂરા થયા ને એક મહિના પછી પણ રજાઓની સ્થિતિ જૈસે થે જેવી છે. નાના કારખાનાઓ હજુ સુધી ખુલ્યા નથી. હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈ મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ 30 ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પછી હીરા ઉદ્યોગમાં તેજી આવશે. તેવી ધારણા હતી, તે ખોટી પડી છે. મોટા કારખાનામાં હિરાનું કામકાજ મંદ ગતિએ શરૂ થયુ છે. પણ નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડિયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ 1પ દિવસ લાગશે. દિવાળી અગાઉ જ હિરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા.

December 5, 2018
gst.jpg
1min3860
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો
  • ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે

જીએસટી (ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ)ના નવા સરળ ફોર્મ પહેલી એપ્રિલ 2019થી અમલી બનશે, તેમ મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ તા.4 ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. સરકાર જીએસટી કલેક્શનનો અંદાજિત લક્ષ્યાંક હાંસલ કરશે. મહેસૂલ વિભાગને કરવેરાની ચોરી કરતા એકમોની માહિતી મળી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સરકારને જીએસટી પેટે 7.76 લાખ કરોડની આવક થઈ છે. બજેટ 2018-’19ના અંદાજમાં જીએસટી કલેક્શન પેટે ₹13.48 લાખ કરોડની આવકનો અંદાજ મુકાયો છે, જે મુજબ માસિક લક્ષ્યાંક ₹1.12 લાખ કરોડ થાય છે.

કેન્દ્રની તિજોરીને નવેમ્બર-2018માં ₹4,000 કરોડની ખોટ પડી છે. હાલમાં માસિક જીએસટી વસૂલી લક્ષ્યાંક ₹1 લાખ કરોડની આસપાસનો છે. સરકાર તેમાં વધારીને ₹1.10 લાખ કરોડ સુધી લઈ જવાનું આયોજન ધરાવે છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન ₹97,637 કરોડ હતું.

ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સ્થાપના દિને પત્રકારો સાથેની વાતચીતમાં મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે રિફંડની પ્રક્રિયાને વધારે સરળ કરીને પૂર્ણપણે ઓનલાઇન અને ટેક્સપેયર ફ્રેન્ડલી કરવામાં આવશે. તેમને જ્યારે રિટર્નના સરળ ફોર્મ અંગે પૂછવામાં આવ્યું તો પાંડેએ જણાવ્યું હતું કે અમે પહેલી એપ્રિલને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. જુલાઈમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટી રિટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’ના ફોર્મનો ડ્રાફ્ટ જન ટિપ્પણી અર્થે મૂક્યો હતો. આ ફોર્મ GSTR-3B (સમરી સેલ્સ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (ફાઇનલ સેલ્સ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે.

November 29, 2018
trade-fair.jpg
1min11920

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
2.0.jpg
1min9620

દેશભરમાં આજે 2.0 રિલીઝ થઈ છે. રજનીકાંતના ચાહકોએ તેમની પરંપરા નિભાવતા દેશના અનેક ભાગોમાં સિનેમાઘરોની બહાર ઉત્સવ મનાવ્યો. અનેક શહેરોમાં સવારના 6 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા. સ્ક્રીન પર રજનીકાંતની એંટ્રી થતા જ ચાહકો ગાંડા-ઘેલા થઈ ગયા હતા. એ પૂર્વે રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ની પાઈરસી અટકાવવા માટે મદ્રાસ હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે એક મોટો નિર્ણય લેતા આદેશ આપ્યો હતો કે 12 હજાર સાઈટ્સને તરત જ બ્લૉક કરવામાં આવે.

2.0ના રિલીઝ પૂર્વે જ પાઇરેસી કન્ટેન્ટ અપલોડ કરતી વેબ સાઈટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી તમામ વેબનો સમાવેશ થાય છે કે જે તમિલ ફિલ્મની પાઈરસી કરી તેને અપલોડ કરે છે. રાજ્યના 37 ઈંટરનેટ પ્રોવાઈડર્સને તાત્કાલિક આ સાઈટ્સ બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં એ 2 હજાર વેબસાઈટ્સના નામ પણ સામેલ છે જેને તમિલ રૉકર્સ નામની વેબસાઈટ ઑપરેટ કરે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એમ સુંદરે 2.0ની પ્રૉડ્યૂસર કંપની લયકા પ્રૉડક્શનની અરજી પણ આ આદેશ આપ્યો છે. જેમાં 12, 564 ગેરકાયદે વેબસાઈટના નામ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલ રૉકર્સને બ્લૉક કરવામાં આવી હતી તો તેની જગ્યાએ URLમાં ફેરફાર કરીને અનેક સાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમને બ્લૉક કરવામાં આવી છે. પાઈરસીથી ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડે છે. જેને જોતા આ અરજી કરવામાં આવી હતી

 

November 26, 2018
cng.png
1min9040

ગુજરાત સરકારની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો ખાતે પાઈપલાઈન દ્વારા ઘર વપરાશ, કોમર્શિયલ, નોન કોમર્શિયલ, ઔદ્યોગિક એકમોના વપરાશ માટે પી.એન.જી. તથા વાહનો માટે સી.એન.જી. પૂરો પાડવામાં આવે છે. સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી. પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે.

ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે જનતાનું હોમ ઇકોનોમીક્સ ખોરવાઈ ગયું છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, પી.એન.જી.-સી.એન.જી. સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી, પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું હોમ ઇકોનીમીક્સ ખોરવાઈ ગયું છે. ૨૦૧૪-૧૫ માં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડ્યૂટીથી ૧ લાખ ૭૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કમાણી હવે ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. જે પ્રજાના ખિસ્સામાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ છે. ભારત આશરે ૨૨૫ મિલ્યન મેટ્રિક ટન ક્રુડ બહારથી મગાવે છે, જે દેશની કુલ વપરાશના ૮૨ ટકા છે, જે ૨૦૧૪ માં ભાજપે સત્તા સંભાળી ત્યારે ૭૭ ટકા હતું. હાલમાં ક્રુડનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫.૯૫ ડોલર પ્રતિ બેરલ છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાંથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથોસાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૩૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી. પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન એમ કહેતા કે, ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતિયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગને કમર તોડી મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.

November 24, 2018
Gujrat-textile.jpg
1min4670

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની સુરત ખાતેની છેલ્લી મુલાકાત દરમિયાન વિવર્સના કેટલાક પ્રશ્નો સંદર્ભે ફોગવાના અશોક જીરાવાળા સમેત 4 આગેવાનો એ કાળા વાવટા બતાવવાની કરેલી હરકતના માઠા પરિણામો હવે ફોગવાના આગેવાનોએ ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસીના ડ્રાફ્ટિંગની મિટીંગમાંથી જ ફોગવાનો એકડો કાઢી નાંખ્યો છે.

આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને નવી ટેક્સટાઇલ પોલિસીની રચના માટે મળેલી બેઠકમાં ફોગવાના એકેય આગેવાનને સ્થાન અાપવામાં આવ્યું ન હતું. આમ છતાં ફોગવાએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા)એ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં સામેલ કરવા માટેના કેટલાક મુદ્દાઓ આધારિત એક મેમોરેન્ડમ પાઠવ્યું છે. ફોગવાએ કરેલી રજૂઆતો મોટે ભાગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી દેવાઇ છે એટલે ફોગવા રજૂઆત કરે કે ન કરે રાજ્ય સરકારને કશો ફરક પડતો નથી.

ફોગવાની નેતાગીરીએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં નીચે મુજબના મુદ્દાઓ ગુજરાત સરકારની ડ્રાફ્ટ થઇ રહેલી ટેક્સટાઇલ પોલિસીમાં સમાવવા રજૂઆત કરી છે.

  1. હયાત પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રઝ અને નવી પાવર લુમ્સ ઇન્ડ. માટે સ્પેશિયલ પાવર ટેરીફ (રૂ.3.50 પ્રતિ યુનિટ બધા જ ચાર્જ સાથે અને ટેક્સ સાથે)
  2. નવી ટેક્સટાઇલ પોલિસીમાં 5થી 8 ટકાની વ્યાજની સબસિડી વિવર્સને આપવામાં આવે.
  3. કેપિટલ સબસિડી 10 ટકા શહેર હદ વિસ્તારમાં અને 15 ટકા શહેર બહારની હદ વિસ્તારમાં આવેલા વિવર્સને આપવામાં આવે. જેમાં સબસિડીની રકમની લિમીટ રૂ.20 કરોડ ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડની ગાઇડ લાઇન મુજબ
  4. જુના પાવર લુમ્સનું આધુનિકરણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસિડી.
  5. વિવિંગ ઉદ્યોગ માટે નવું બાંધકામ કરવા રૂ.350 પ્રતિ સ્ક્વેયર ફીટની સબસિડી
  6. વોવન ટેકનિકલ ટેક્સટાઇલ માટે 45 ટકા સબસિડી આપવામાં આવે.

ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય

જોકે જાણકારો કહે છે કે ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં એટલા માટે લેવાય નહીં કેમકે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા સમેત કેટલાક આગવાનો વિવર્સના પ્રશ્નો હલ થાય તો કોંગ્રેસને શ્રેય આપશે અને અગાઉ પણ આવી હરકતો ફોગવાની હાલમાં આગેવાની લેનારાઓ કરી ચૂક્યા છે. અશોક જીરાવાળાએ તો ક્રેડિટ લેપ્સના મુદ્દે ઉતાવળે એવું પણ નિવેદન કરી દીધું હતું કે ભાજપ સરકાર કશું નહીં કરે તો ફોગવાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆતો કરવી પડશે. અશોક જીરાવાળાના આ નિવેદન પછી ફોગવાને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહેજ પણ દાદ નહીં આપવાનો નિર્ણય કરી દીધો છે. પરીણામે નવી ટેક્સટાઇલ પોલિસીમાં ફોગવાની જગ્યાએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ગંભીરતાથી લઇને પ્રાધાન્ય અપાશે એમાં કોઇ બે મત નથી.