જેમનું નામ માત્ર અૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની અવતરણ જયંતિ ‘રામનવમી’ આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં બે વર્ષ બાદ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. આજે રવિવાર, તા.10મી એપ્રિલે સમગ્ર દેશ દુનિયામાં રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂતની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.
સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.
આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.
એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’
એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.
એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.
ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.
રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.
ચોથી લહેરની આશંકા વચ્ચે કોરોના સામેની લડાઈમાં એક મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારે તા.10 એપ્રિલને રવિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને ત્રીજો પ્રિકોશન (બૂસ્ટર) ડોઝની મંજૂરી આપી છે. જે સાથે સરકારી આરોગ્ય કેન્દ્રો પર પહેલો અને બીજો ડોઝ નિ:શુલ્ક આપવાની સુવિધા યથાવત છે. ત્રીજા ડોઝ માટે ખાનગી કેન્દ્રો પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે ? તે હજુ સ્પષ્ટ કરાયું નથી.
18 વર્ષથી વધુ ઉંમરના દરેક જે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા હોય તેઓ ખાનગી સેન્ટરો પરથી ત્રીજો ડોઝ મેળવી શકશે. કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, 18 પ્લસ એજ ગ્રુપના દરેક લોકો ખાનગી વેક્સિનેશન કેન્દ્ર પર જઈ ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવી શકશે. અત્યાર સુધીમાં દેશમાં 1પ પ્લસ એજ ગ્રુપના 96 ટકા લોકોએ ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે આ વયજૂથમાં 83 ટકાએ બન્ને ડોઝ લીધા છે. 1રથી 14 વર્ષની ઉંમરના જૂથમાં 4પ ટકાએ પહેલો ડોઝ લઈ લીધો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં ર.4 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે. દેશમાં 6 માર્ચથી 1ર-14 વયજૂથના બાળકોનું વેક્સિનેશન ચાલુ છે.’
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિગ્નેચર એક્ઝિબિશન ગણાતા ઉદ્યોગ એક્ષ્પોના આયોજનને આ વર્ષે 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આગામી તા.8થી 11 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્યોગ 22નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી અંદાજે 175 જેટલા એક્ઝિબિટર્સ પોતાની ચીજવસ્તુઓ ડિસ્પ્લે કરશે. ઉદ્યોગ 2022 અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ઇલેક્ટ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ એક્ઝિબિશન દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષે તેની 13મી આવૃતિ છે અને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ઉદ્યોગ એક્ષ્પો એ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) સ્તર પર યોજાઇ રહ્યો છે અને તેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાંથી મેન્યુફેક્ચરર્સ તથા પ્રમોટર વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓ, સેવાઓને ડિસ્પ્લે કરશે. ઉદ્યોગ 2022ના એક્ષ્પો ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે 1.10 લાખ ચો.ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં એક્ઝિબિટર્સને સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. આ વખતના એક્ષ્પોમાં ગ્રીન એનર્જી, ટેક્ષટાઇલ એન્સેલરી, ઇલેક્ટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ, સર્વિસ, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી વગેરે પ્રોડક્ટસ અને સર્વિસીઝના ડિસ્પ્લે કરવામાં આવશે. ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં ફક્ત વિક્રેતાઓને જ એન્ટ્રી મળશે કેમકે આ બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર યોજાશે. તા.7મીએ રાત્રે 12 વાગ્યા સુધી વિઝીટર તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી પાસ મળશે પરંતુ, જો કોઇ વ્યક્તિ એક્ષ્પોના એન્ટ્રી ગેટ પર જઇને ફિઝિકલ રજિસ્ટ્રેશન કરાવશે તો તેમણે રૂ.200 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં 12000 જેટલા લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ઉદ્યોગ એક્ષ્પોમાં ખાસ સ્ટાર્ટઅપ પેવેલિયન
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં આ વખતે સૌથી મહત્વની બાબત સ્ટાર્ટ અપ પેવેલિયન છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સરકારે જે સ્ટાર્ટઅપને માન્યતા આપી છે તેવા તમામ સ્ટાર્ટ અપને પ્લેટફોર્મ મળે અને મુલાકાતીઓને તેમના સ્ટાર્ટ અપ વિષે માહિતી મળે તે માટે તમામને બિલકુલ વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે અને સ્ટાર્ટ અપનું એક આખું અલગ પેવેલિયન જ ઉભું કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપ પેવેલિયનમાં 18 જેટલા સ્ટાર્ટ અપ તો એકલા સુરતના યંગસ્ટર્સ ઉધોગ સાહસિકોના જ છે.
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) દ્વારા આઠ એપ્રિલે જાહેર થનારા બૅન્કના વ્યાજદર પર ઉદ્યોગ ક્ષેત્ર સહિત સામાન્ય જનતા મીટ માંડીને બેઠી છે.
કોવિડ-૧૯ના રોગચાળા, રશિયા-યુક્રેનના યુદ્ધ અને ક્રૂડના વધી રહેલા ભાવ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે એવી શક્યતા વધુ છે.વ્યાજદર નક્કી કરતી આરબીઆઈની મનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક છએપ્રિલે શરૂ થઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયની આઠ એપ્રિલે જાહેરાત કરવામાં આવશે.
વ્યાજદરની સમીક્ષા કરવા યોજવામાં આવનારી આ બેઠકમાં આરબીઆઈ વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્ર્વિક અચોક્કસતા વચ્ચે આરબીઆઈ રિટેલ ફુગાવા અંગે તેનું વલણ બદલે તેવી શક્યતા છે.
અર્થશાસ્ત્રી આદિત્ય નાયરે કહ્યું હતું કે એમપીસીની આ સમીક્ષા બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સુધારો કરવામાં આવે એવી શક્યતા છે. ફુગાવાને અંકુશમાં લેવા એમપીસી વિકાસનું બલિદાન આપે તેવી શક્યતા નથી.
વર્તમાન અચોક્કસતાને ધ્યાન પર લેતાં આર્થિક નીતિ વધુ કડક કરવા આરબીઆઈ પાસે મર્યાદિત અવકાશ છે, એમ એનાલિટિકલ ઑફિસર સુમન ચૌધરીએ કહ્યું હતું.
ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી
વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.
પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી
સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.
સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.
દેશની સૌથી મોટી ખાનગી બેંક અને દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તેમજ ઇંસ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ જેવી સેવાઓ આપતી નાણા કંપનીએ આજે મર્જરની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર HDFC વિવિધ મંજૂરી બાદ HDFC Bankમાં ભળી જશે. આ મર્જરની અસર બાદ આ કંપની દેશની સૌથી અગ્રણી નાણાકીય સેવાઓ આપતી કંપની બની શકે છે.
સ્ટોક એક્સેન્જને આપેલી વિગત અનુસાર HDFC Bank તેની રૂ.19.38 લાખ કરોડની એસેટ સાથે રૂ.6.24 લાખ કરોડની એસેટ ધરાવતી HDFC સાથે મર્જરની જાહેરાત થઈ છે.
આ જાહેરાત અનુસાર HDFCના 25 શેર સામે રોકાણકારોને HDFC Bankએ 42 શેર મળશે.
શેરબજારમાં લિસ્ટેડ બન્ને કમોનીઓનું માર્કેટ કેપ વધી જશે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે. શુક્રવારના બંધ ભાવ અનુસાર HDFC Bank રૂ 8.35 લાખ કરોડના મૂલ્ય સાથે ત્રીજા ક્રમે અને HDFC રૂ 4.44 લાખ કરોડ સાથે નવમા ક્રમે છે. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.17.97 લાખ કરોડ સાથે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.
શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.
મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.
શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.
11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.
2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.