કાશ્મીરમાં આતંકી હુમલામાં 44 જવાનોની શહીદીની ઘટના બાદ ભારતવાસીઓ ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. સુરતની વાત કરીએ તો સંવેદનશીલ સુરતીઓના હૈયા આતંકી હુમલાની ઘટનાએ હચમચાવી મૂક્યા છે, એવી દેશદાઝ ઝળહળી ઉઠી છે કે જો તક મળે તો પાકિસ્તાન અને તેના પ્રરીત આતંકીઓનો ખાત્મો બોલાવાના મિશનમાં દરેક નાગરીક મંડી પડે. આખો દેશ એક થઇ ગયો છે. સુરતીઓ પોતપોતાની રીતે શહીદોને અંજલી આપી રહ્યા છે, સુરતીઓ પોતપોતાની રીતે આતંકીઓ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.
સુરતીઓની સંવેદના તા.14મીએ સાંજથી જ હળબળી ઉઠેલી જોવા મળી હતી. આતંકીઓના પૂતળા બાળીને યુવાન હૈયાઓ પોતાની લાગણી પ્રદર્શિત કરી. કેટલાક નાગરીકો એટલા આઘાતમાં છે કે તેમણે શહીદ સૈનિકો માટે પોતાના જીવનમાં પણ સાદગી લાવી દીધી છે.
એક પરિવારે લગ્નનું ગ્રાન્ડ ડિનર કેન્સલ કરી દીધું
શહેરમાં એક સ્થાનિક પરિવારે લગ્નના ભપકાદાર કાર્યક્રમો રદ કરીને લગ્ન પ્રસંગ સાદગીથી ઉજવવા માટે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, આ પરિવાર મિડીયા સમક્ષ આવ્યો નથી એટલે તેના વિશે વધુ વિગતો કહી શકાય તેમ નથી.
એક પરિવાર 13 દિવસ ખીચડી ખાશે, ટીવી પણ નહીં ચાલે ઘરમાં
કામરેજમાં એક નખશીખ દેશભક્ત પરિવારના તમામ સભ્યો કાશ્મીરની આતંકી ઘટનાથી એટલા હચમચી ઉઠ્યા છે કે તેમના 17 જણના બહોળા પરિવાર કે જેમાં 6 વર્ષની બાળા પણ છે આ પરિવારે 13 દિવસ સુધી ઘરમાં શોક રાખ્યો છે. પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ રીતે સૈનિકોની શહીદીને આદર આપી રહ્યા છે. સી.આઇ.એ.એ તેમને સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા માટે કશું લખશો નહીં. આ છતાં અમે લખી રહ્યા છીએ કે આ પરિવાર 13 દિવસ સાદી ખીચડી ખાઇને ગુજારશે. ઘરમાં ટીવી બંધ રહેશે. વડીલો તો સફેદ કપડા ધારણ પણ કરી લીધા છે. આટલી સંવેદનશીલતા જોઇને પ્રતીતી થાય છે કે જવાનોની શહીદીએ સુરતીઓની સંવેદનાને ઢંઢોળીને મૂકી દીધી છે.
કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.
હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓએ શહીદોને સલામી આપીને મૌન પાળ્યું
સુરતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓએ આજે તા.15મીએ સવાર અને બપોરના સેશનમાં સૌથી પહેલા પ્રાર્થના કર્યા બાદ કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા તેમના માનમાં મૌન પાળ્યું હતું. શાળાઓએ સૈનિકોની શહીદી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમને દેશ માટે કંઇપણ કરી છૂટવાના વિચારો આપ્યા હતા. અનેક સંસ્થાઓએ આજના તેમના જુદા જુદા કાર્યક્રમો રદ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે તા.15મી ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 5.30 કલાકે એક અગત્યની બેઠક યોજી હોવાનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.
Solidarity with the Soldiers and the Nation Trade Industries and Services join their hands together with the SGCCI and extend their deepest condolences to the martyred soldiers at the PULWAMA ATTACK, We pledge our solidarity and oness of the trade industries and services of the entire south Gujarat in all efforts of the brave army in their steps for avenging their loss. Just to stand with solidarity we meet today, 15th February at 5:30 pm at SGCCI, 4th floor, Samruddhi Building, Nr. Makkai Pool, Surat. JAI HIND