CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 18 of 38 - CIA Live

November 13, 2019
uma_ias.png
1min4460

રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.

૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’

ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’

મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14350

Womens’ Helpline : સોશ્યલ મિડીયા પર પજવણી થતી હોય તો વિનાસંકોચે ૧૮૧ નંબર ડાયલ કરો

માહિતી બ્યૂરો દ્વારા, ગુજરાત સરકાર, સૂરત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે.

મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડાં મોબાઈલથી વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, વિડિઓ કોલિંગ વગેરેથી દેશવિદેશમાં સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને હેરાન કરવા, બ્લેક મેઈલ કરી જાતીય શોષણ, મહિલાનો આર્થિક શારીરિક ગેરઉપયોગ જેવા કિસ્સા માં પણ વધારો નોંધાયો છે.

તરૂણીઓ, સ્ટુડન્ટ, જોબ કરતા મહિલા કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ પણ ટેલિફોનિક હેરાનગતિનો જાણતા-અજાણતા ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ અજાણી વ્યક્તિને પોતાના ફોટો, ડોક્યુમેન્ટ કે અંગત વિગતો આપતાં પહેલા સાવધાની અને કાળજી રાખવી જરૂરી છે.

અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કોઈને પોતાની વ્યથા કહી શક્તી નથી, અને મૂંગા મોઢે સહન કર્યા કરે છે.

પજવણી કરનાર વ્યક્તિ મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી, બિનજરૂરી મેસેજ-કોલ્સ થકી બ્લેકમેઇલ કરીને મહિલાઓનું જીવવું દુષ્કર કરી નાખે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી GVK EMRI દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કઠવાડા  અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ એકશન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલિસ કર્મચારીઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓની ફરિયાદ પર ત્વરિત એકશન શરૂ કરે છે.

અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવવામાં આવે છે. હેરાન પરેશાન કરનાર રોમિયોનો નંબર મેળવી તેને આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા બેઇઝ મેઈન્ટેનન્સ કરી મોબાઈલનું ટ્રેકીંગ કરવામાં આવે છે.

અભયમ એકશન ડેસ્ક દ્વારા સાવધાનીપૂર્વક રોમિયોને એક તક આપી સમજાવવામાં આવે છે કે પીડિત મહિલાને બિનજરૂરી કોલ કે મેસેજ ન કરવાથી જેલમાં જવાની નોબત આવશે. તેને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકારના કોલ, મેસેજ આવશે તો પોલિસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પરિણામે પજવણી કરનાર વ્યક્તિને ભૂલ સમજાય છે. અભયમ એકશન ડેસ્કને મળેલા કેસોમા ૯૫ % કેસોનું આ પ્રકારની સુનિયોજિત ટેકનિકથી નિરાકરણ મેળવવામાં સફળતા મળી છે.

અભયમ એકશન ડેસ્કની નવતર પહેલના કારણે પીડિત મહિલાઓને રોમિયોની હેરાનગતિમાંથી મુક્તિ મળી છે. પરંતુ અમુક કિસ્સાઓમાં પજવણી ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને મદદ કરે છે. આ પ્રક્રિયામાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠા જ મહિલાઓની સમસ્યાનું સુખદ નિવારણ કરવામાં આવે છે.        

રાજ્યના કોઈ પણ શહેર કે ગામોમાં રહેતી મહિલા, કિશોરી, વિદ્યાર્થીનીઓને મોબાઈલ દ્વારા પજવણીની સમસ્યા હોય તો વિનાસંકોચે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

ટેલિફોનિક હેરેસમેન્ટના વર્ષ વાર આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ૫૭૯, ૨૦૧૫ માં ૨૧૩૩, ૨૦૧૬ માં ૨૭૩૮, ૨૦૧૭માં ૩૪૬૧, ૨૦૧૮ માં ૪૦૨૮ અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૨૮૧૮ મળી કુલ ૧૫૭૫૭ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14350

UTU કેમ્પસમાં ક્રિસમસમાં કલ્ચરલ કાર્નિવલ : માણવા જેવો સાંસ્કૃતિક જલસો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી ક્રિસમસ દરમિયાન સૂરતના બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા સંકુલ ખાતે કલ્ચરલ કાર્નિવલ યોજાશે. કલ્ચરલ કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક જલસો અને આ સાંસ્કૃતિક જલસાનું અધિકૃત નામ છે. 35મો રાષ્ટ્રીય સ્તરનો યુવા મહોત્સવ જેમાં પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓની એક એકથી ચઢીયાતી પ્રતિભાઓ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરશે. 34મો યુથ ફેસ્ટિવલ ચંડીગઢ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. હવે 35મો વેસ્ટર્ન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સૂરત નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.

એસોશીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તેમજ ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના ઉચ્ચ શિક્ષણને આવરી લેતા 35માં યુવા મહોત્સવના યજમાન તરીકે સૂરરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી કેમ્પસ, માલિબા સંકુલની પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે તા.27થી 31મી ડિસેમ્બર 2019ના રોજ યોજાશે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત 6 વર્ષમાં જ કેન્દ્ર સરકારની પશ્ચિમ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી ઇવેન્ટ મળી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મનોરમ્ય સંકુલમાં આયોજિત થનારા વેસ્ટર્ન રિજિયન યુનિવર્સિટી યુથ ફેસ્ટની 5 દિવસની ઇવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 135 યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કોમ્પિટિશન્સમાં પોતાનું કૌવત-કૌશલ, સ્કીલ વગેરેનું નિદર્શન કરશે.

કઇ કઇ પ્રતિયોગિતાઓ યોજાશે?

રાષ્ટ્રીય સ્તરના આ યુવા મહોત્સવમાં સંગીત, નૃત્યકળા, સાહિત્ય, ફાઇન આર્ટસ તેમજ નાટ્ય કળા મળીને કુલ 5 વિભાગમાં 27 સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં શેરી નાટક, એકાંકી સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ કોમ્પિટીશન, વાદ-વિવાદ, ચર્ચા, ક્વીઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.

પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટમાં વિવિધતામાં એકતા જોવા મળશે. પશ્ચિમ ભારતની એકએકથી ચઢીયાતી વિદ્યાર્થી પ્રતિભાઓને ઉકા તરસાડીયા યુનિવર્સિટી મંચ આપશે. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોવા-માણવાનો લહાવો મળશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના આ રાષ્ટ્રીય યુવા મહોત્સવના મૂલ્યાંકન માટે ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ બાહ્ય જગતના ખ્યાતનામ કલાકારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વડા ડો. દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ઉદેશને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસીય યુવા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ કટિબદ્ધ છે. આયોજનમાં અગ્રેસર તરીકે ડો. રોઝી પટેલ તથા તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

November 5, 2019
lic_logo.jpg
1min6070

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.

ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.

November 2, 2019
bolbala.jpg
1min5220

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ ગરીબો સુધી ભોજન પહોંચી રહે તે માટે એક ઉમદા વિચાર અમલમાં મૂકીને ગરીબો માટે ફૂડ ડિલિવરી સર્વિસ ચાલુ કરાઈ છે. જેનાથી ગરીબોને ગરમાગરમ ભોજન મળી રહેશે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરાઈ છે.

હાલ 9 સ્કૂટર દ્વારા ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરાઈ છે. એનજીઓ દ્વારા કૂક, ડિલિવરી બોય તેમજ ફોન રિસિવર અને કો-ઓર્ડિનેટર્સ માટેના 22 લોકોને કામ પર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોઈપણ 2237000 અથવા 9374103523 નંબર પર ફોન કરીને પોતાનું એડ્રેસ આપશે તેની મિનિટોમાં તેના સુધી જમવાનું પહોંચી જશે. જે સ્કૂટરથી ડિલિવરી કરાશે તેમાં રખાયેલું જમવાનું ગરમ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જમવાનું આપવામાં આવશે અને ફોન કર્યાના વધુમાં વધુ એકથી દોઢ કલાકની અંદર જમવાનું પહોંચી જશે.

ટ્રસ્ટ 15 કિમીના વિસ્તારમાં ભોજન પહોંચાડશે. જો શહેરના બહારના વિસ્તારમાંથી ફોન આવશે તો તેમના સુધી પહોંચવા પણ ડિલિવરી બોય પ્રયાસ કરશે. ફોન કરનારા કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ખિચડી કઢી અને ભાખરી પહોંચાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાનું વાસણ ન હોય તો તેને ડિલિવરી બોય પેપર કે થર્મોકોલની ડિશ પણ આપશે.

હાલ રોજના 200-250 લોકોને આ રીતે ફ્રીમાં જમાડવામાં આવી રહ્યા છે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓ તરફથી સૌથી વધુ ફોન આવી રહ્યા છે. હાલ ટ્રસ્ટને સરકારની કોઈ સહાયતા મળતી નથી પરંતુ દાતાઓ તરફથી જે ડોનેશન મળે છે તેમાંથી જ તેનો ખર્ચ કાઢવામાં આવે છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

October 28, 2019
pm_tweet.jpg
1min3140

આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’

October 28, 2019
modi_diwali.jpg
1min3480

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.

October 26, 2019
doctors-on-call.jpg
1min3570

અમદાવાદ મેડીકલ એસોશિએશન AMAની આવકારદાયક પ્રવૃત્તિ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે. એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર 2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી સેવાઓ મળી રહેશે.

દિવાળી એવો તહેવાર હોય છે કે આ તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ કરી છે.

અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે

અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.

અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.

આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.

AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.

સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.

October 25, 2019
kathiyawad.jpg
1min3720

દીકરાઓ કરતા વધુ દીકરીઓ દત્તક લેવાઇ

114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક

રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.

આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.

બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.

આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.


October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min5610

C.I.A. Live ન્યુઝ વેબના રિપોર્ટ પરથી પ્રેરણા લઇને દિવાળી સાર્થક કરી રોટરેક્ટ સૂરત ઇસ્ટ એ

વ્યાજબી ભાવે ક્વોલિટીયુક્ત કાજૂકતરી બનાવી 600 રૂ. કિલો વેચી, 666 કિલો ફટાફટ ઉપડી ગઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રેરણા અને તક માટે ક્યારેય કોઇએ રાહ જોવી પડતી નથી. કિસ્મતના રોદણા રડવાવાળા લોકો ભલે બદકિસ્મતીની દુહાઇ દેતા હોય પરંતુ, તક અને પ્રેરણા લેનારાઓ એને સ્વબળે પેદા કરતા હોય છે. દિલ-દિમાગ ખુલ્લા હોય તો પ્રેરણા કે તક છાશવારે સામે આવે છે. અહીં વાત કરવી છે રોટરેક્ટ સૂરત ઇસ્ટની ટીમની. રોટરેક્ટ સૂરત ઇસ્ટના વર્તમાન વહીવટકર્તાઓએ દિવાળીના તહેવારોમાં લોકોને વ્યાજબી દરે કાજૂ કતરી જેવી મીઠાઇ ગુણવત્તાયુક્ત મળે એ માટે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.

બજારમાં 800 રૂપિયો કિલોના ભાવથી શરૂ થતી અને 1200થી 1500 સુધીના ભાવે વેચાઇ રહેલી કાજૂ કતરી, કાજુ ફેન્સીની મીઠાઇઓ સામાન્ય મધ્યમર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સને પણ પોષાય એમ નથી હોતી. આથી રોટરેક્ટ સૂરત ઇસ્ટએ દિવાળીની મીઠાઇની માગને ધ્યાને લઇને સ્વયં કાજૂકતરી મીઠાઇ બનાવીને વ્યાજબી ભાવે વિતરીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.

અંદાજિત ઓર્ડર મેળવવા માટે આ કામ કર્યું

ઉપરોક્ટ પોસ્ટર વરાછા રોડના પોતપોતાના ગ્રુપોમાં મૂકીને દિવાળી પર રાહત દરે કાજૂ કતરી વિતરીત કરવાનો પ્રોજેક્ટ રોટરેક્ટ સૂરત ઇસ્ટએ શરૂ કર્યો. આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું મિષ્ટાનમાં મુસ્કાન. રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયા, સેક્ટરેટરી આશિષ પાંચાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિકુંજ માલવિયા અને પ્રોજેક્ટ ચેરમેન બ્રિજેશ ધામેલિયાએ પોતાના નંબર આપીને કાજૂ કતરીનો ઓર્ડર લેવા માંડ્યા. જોતજોતામાં 660 કિલો કાજૂકતરીનો તોતિંગ ઓર્ડર મળી ગયો.

600 રૂપિયે કિલોના ભાવે વેચી 666 કિલો કાજૂ કતરી

રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયાએ જણાવ્યું કે આજે ગુણવત્તા યુક્ત કાજૂકતરી 600 રૂપિયે કિલો કોણ વેચે, સંસ્થાએ બિલકુલ ક્વોલિટી રૉ મટિરીયલથી તૈયાર કરાવેલી કાજૂ કતરીને રૂ.600નો ભાવે વેચી અને 666 કિલો કાજૂ કતરી ફટાફટ વેચાઇ ગઇ. મધ્યમવર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સ માટે 600 રૂપિયામાં કાજૂકતરી એ સાર્થક દિવાળી સમાન છે.

રોટરેક્ટ સૂરત ઇસ્ટને જે નફો થશે એ શિક્ષણના હિતમાં વપરાશે

મિષ્ટાનમાં મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત રોટરેક્ટ સૂરત ઇસ્ટને કાજૂકતરી બનાવીને વ્યાજબી ભાવે વેચ્યા પછી જે નફો થશે એ શિક્ષણના હિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંસ્થાના નીતિનભાઇ ધામેલિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રોટરેક્ટ સૂરત ઇસ્ટને આ પ્રકારે મિષ્ટાનમાં મૂસ્કાન પ્રોજેક્ટની પ્રેરણા સી.આઇ.એ. લાઇવના રક્ષાબંધન બાદના રિપોર્ટના આધારે મળી હતી. જેમાં નિર્દેશ કરાયો હતો કે મોંઘાભાવે મીઠાઇઓ વેચતા મીઠાઇશોપ કરતા સંસ્થાઓએ બનાવેલી રાહત દરની મીઠાઇઓ રક્ષાબંધને વધુ વેચાઇ હતી.

રક્ષાબંધન 2019 બાદ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો